Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગાંધીનગર શહેર નજીક પેથાપુરમાં જવેલર્સને ત્યાં બાકી નીકળતા પૈસા લેવા ગયેલ વેપારી પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક આવેલા પેથાપુરમાં જવેલર્સની દુકાન ચલાવતાં સોનીને ત્યાં પાલનપુરથી બાકી રૂપિયા લેવા માટે આવેલા વેપારીને માર માર્યાની ઘટના બનવા પામી છે. આ સંદર્ભે વેપારીએ પિતાપુત્ર અને દુકાનમાં હાજર અન્ય એક શખ્સ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વેપારીએ વેચેલી ચાંદી પેટે અઢી લાખ રૂપિયા બાકી નીકળતાં હોવાનું બહાર આવ્યું છે.      

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલનપુર દેરાસર પાસે રહેતા મહેન્દ્રભાઈ ગણેશભાઈ શાહ ગઈકાલે તેમને અમદાવાદ કામ હોવાથી કાર લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમ્યાનમાં પેથાપુર ખાતે વીએસ જવેલર્સની દુકાન ચલાવતાં તેમના જુના મિત્ર ધીરેનકુમાર ઉર્ફે કબીર ભવંરલાલ સોનીને મળવા પહોંચ્યા હતા. ધીરેનભાઈ પહેલા પાલનપુરમાં રહેતા હતા તે સમયે પાંચ વર્ષ અગાઉ મહેન્દ્રભાઈએ તેમને ચાંદી વેચી હતી અને જે હિસાબ પેટે અઢી લાખ રૂપિયા લેવાના બાકી નીકળતાં હતા. જેથી દુકાનમાં પહોંચેલા મહેન્દ્રભાઈએ કબીરભાઈ પાસે બાકી નીકળતાં રૂપિયાની વાત કરતાં તેમણે અહીંથી જાવ આપણે પછી મળીશું તેમ કહયું હતુ. જેથી વેપારી મહેન્દ્રભાઈ નીકળીને કાર પાસે પહોંચ્યા હતા તે જ સમયે કબીરભાઈએ તેમને દુકાનમાં બોલાવ્યા હતા અને તું મારી દુકાનમાં કેમ આવ્યો છે તેમ કહી લાફો મારી દીધો હતો અને તેના પિતા ભવંરભાઈ અને દુકાનમાં હાજર અન્ય એક શખ્સે પણ મહેન્દ્રભાઈ સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. અને ફરીથી અહીં દેખાઈશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી મહેન્દ્રભાઈએ આ સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં સોની પિતાપુત્ર અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

(5:39 pm IST)