Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

નવલી નવરાત્રિ ઉત્સવની કાલથી ભવ્ય શરૂઆત : ખેલૈયાઓ ઉત્સુક

વરસાદના કારણે તૈયારીઓને પ્રતિકુળ અસર છતાં ખેલૈયા આશાવાદી : અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું : અમદાવાદ અને રાજ્યમાં ભારે ઉત્સાહ : કાલથી ભક્તિમય માહોલ

અમદાવાદ, તા.૨૮ : જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલથી મા જગંદબા, મા આદ્યશકિતની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. નવરાત્રિ એટલે માં જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ. શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જ્વળ પરંપરા છે. નવરાત્રિના નવલા પર્વમાં શક્તિ સ્વરૂપ માં જગદંબા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર ભાવિક નર-નારીઓ શક્તિની આરાધના-ઉપાસના કરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં, આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચારનવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શક્તિ ઉપાસના માટે આસો-નવરાત્રિનું મહત્ત્વ અધિક ફળદાયી મનાયું છે. આવતીકાલે તા.૨૯મી સપ્ટેમ્બરે પ્રથમ નોરતે ઘટ સ્થાપનનું શુભ મૂર્હુત જોઇએ તો, સવારે ૬-૧૬થી ૭-૪૦ સુધી(એક કલાક અને ૨૪ મિનિટ) અને અભિજિત મૂર્હુત સવારે ૧૧-૪૮થી બપોરે ૧૨-૩૫ વાગ્યા સુધી(૪૭ મિનિટ સુધી)નું રહેશે. આસો સુદ એકમથી, આસો સુદ નોમ સુધી, નવરાત્રિના આ નવલા દિવસોમાં ભારતભરના અને વિદેશમાં વસતા પ્રત્યેક ભારતીય દેવી ઉપાસક પરિવારોમાં ભક્તિશ્રદ્ધાપૂર્વક ઘટસ્થાપન સહિત માતાજીની પૂજા-આરાધના થશે, પ્રાતઃ અને સાયંકાલીન આરતી થશે.

                   મંગળ ગીતો અને ગરબા ગવાશે અને સૌ ભક્તજનો આ મંગલમય, મંગલકારી અને ધર્મોલ્લાસના, નવરંગોથી મઢેલા, ભક્તિ અને શક્તિના સમન્વયરૂપ, અનેરા-અનોખા મહોત્સવમાં મહાલશે અને મન મૂકીને માણશે. નવરાત્રિના આ નવલા દિવસોમાં, આસો સુદ એકમના દિવસે, શુભમુહૂર્તમાં મા જગદંબાની મંગલકારી મૂર્તિનું (કોઇપણ સ્વરૂપે) ભાવિક ભક્તજનોને ત્યાં ઘટસહિત સ્થાપન કરવા-કરાવવામાં આવે છે. અખંડ ધૂપ-દીપ સમન્વિત પંચોપચાર, ષોડશોપચાર કે રાજોપચાર પૂજન અર્ચન સહિત ચંડીપાઠ પઠન પણ થાય છે. વિશેષમાં પ્રત્યેક રાત્રિએ શેરીઓમાં અને ચુનંદા પાર્ટી પ્લોટ્સમાં મનોરંજક રાસ-ગરબાનું વિવિધ મંડળો દ્વારા ધમાકેદાર આયોજન કરાય છે. જે, આબાલવૃદ્ધ સૌ કોઇ માટે મનોહર બની રહે છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળના પ્રભાવથી પ્રગટેલા, માની આરાધનાનાં મુખ્યત્વે ત્રણ સ્વરૂપો છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, તદુપરાંત જગતમાં અન્ય માતૃકાઓનો પણ ઉદભવ થયો. તેના મહાત્મ્યના સાર રૂપ, ચંડીપાઠ જે સપ્તશતી નામે ઓળખાય છે, જે સાતસો શ્લોકોનો માનાં વિવિધ સ્વરૂપોનું ગુણગાન કરતો સમૂહ છે.

                   તેનું રસપાન પણ, માનાં સાંનિધ્યની ઝાંખી કરાવી જાય છે. માં જગદંબાની ઉપાસનામાં નવરાત્રિપર્યંત આ ચંડીપાઠનું મહત્ત્વ પણ અનન્ય મનાય છે. નવરાત્રિપર્યંત માનાં વિવિધ સ્વરૂપો પૈકી કોઇ એક સ્વરૂપની ઉપાસના હૃદયના શુદ્ધભાવથી તથા અનન્ય ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવાથી, ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એનાં ઘણાં દૃષ્ટાંતો ધર્મ-ઇતિહાસમાં પણ જોવા મળે છે. રાજરાજેશ્વરી માં જગદંબાનાં નવરાત્રિપર્યંતનાં પૂજન, અર્ચન, આરાધના અને સાધનામાં વિવિધ સ્વરૂપોનો મહિમા શાસ્ત્રસૂચિત મનાય છે. મૂળભૂત રીતે શક્તિ તત્ત્વ એક જ છે. સ્વરૂપ ભિન્ન ભિન્ન હોઇ શકે. આ તત્ત્વ ઉપાસક માટે, સાધક માટે કોઇપણ સ્વરૂપે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહે તે જરૂરી છે. સાચા અંતઃકરણથી, તન-મનની શુદ્ધતાથી, પૂજન- અર્ચન- આરાધના- સાધના કરીએ તો, માં જગદંબાની મંગલમય અને મંગલકારી મૂર્તિનું સ્થાપન હૃદય મંદિરમાં અવશ્ય થઈ શકે. અને તે થકી, ઉપાસક-સાધકની નવરાત્રિ ઉપાસના અવશ્ય ફળદાયી બની શકે.

નવલી નવરાત્રીની સાથે સાથે નવ દિવસ સુધી લોકો ધાર્મિક રંગમાં રંગાશે

અમદાવાદ,તા. ૨૮ : જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. અમદાવાદમાં જુદી જુદી સોસાયટીઓ, પાર્ટીપ્લોટ, ક્લબમાં પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.

*        અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલથી વરસાદી માહોલ વચ્ચે નવરાત્રીની ધૂમ રહેશે

*        રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ વિશ્વના સૌથી લાંબા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું

*        મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે વિધિવતરીતે ઉદ્ઘાટન કરવામાં આવશે

*        ગુજરાત કેબિનેટના અનેક પ્રધાનો પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે

*        દરરોજ રાત્રે નવ કલાકથી મધ્ય રાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે

*        થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણો પ્રદર્શિત કરાયા

*        વરસાદ પડી જવાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં તમામ તૈયારી પર પ્રતિકુળ અસર થઈ છે જેથી જુદા જુદા સ્ટોલ પુરતા પ્રમાણમાં ગોઠવાયા નથી

*        દરરોજ રાત્રે ૧૧.૪૫ વાગે મહાઆરતીનું આયોજન કરાશે

*        મા આદ્યશક્તિની આરાધનાના શુભપ્રસંગે નવરાત્રિ દરમિયાન દર વર્ષે દેશવિદેશમાંથી મોટી સંખ્યાાં લોકો પહોંચે છે

*        ૨૦૧૭માં સંખ્યા વધીને ૬.૫૦ લાખ થઇ હતી

*        અમદાવાદ અને રાજ્યના જુદા જુદા ભાગોે અને તમામ મોટી સોસાયટીમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે

*        પાર્ટી પ્લોટ અને ક્લબમાં વખતે અનેક નવા આકર્ષકો ઉમેરવામાં આવ્યા છે

*        ઘણી જગ્યાએ તો ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે જુદા જુદા પેવેલિયન બનાવી દેવામાં આવ્યા છે.જેથી તેમને અન્યો પણ માણી શકશે

*        અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે

*        પાર્ટી પ્લોટ, સોસાયટીઓ, જુદી જુદી ક્લબોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું

*        છેલ્લા ઘણા દિવસથી ખેલૈયાઓ તૈયારીમાં વ્યસ્ત હતા

*        ખેલૈયાઓને ખરીદીમાં મોંઘવારી પણ નડી રહી નહતી

*        નવરાત્રી ઉત્સવ દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખાસ આયોજન કરાયું

*        નવરાત્રી ઉત્સવવેળા ઘરમાં પણ માતા અંબેની સ્થાપના કરવામાં આવે છે

*        ૯ દિવસ સુધી ધાર્મિક માહોલના રંગમાં લોકો રંગાયેલા રહેશે

*        મોડી રાત સુધી નવરાત્રીની મજા લોકો માણી શકશે

*        લાઉડ સ્પીકર ૧૨ વાગ્યા સુધી જ વગાડવાની મંજુરી

*        નાની હોટલ, રેસ્ટોરન્ટ જે લાઈસન્સ ધરાવે છે તે ૧ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે

*        વાઈબ્રન્ટ નવરાત્રીનું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જબરદસ્ત આયોજન કરાયું

*        વાઈબ્રન્ટ ખાતે છેલ્લા ઘણા દિવસથી તૈયારી ચાલી રહી હતી પરંતુ છેલ્લી ઘડીએ વરસાદના કારણે પ્રતિકુળ અસર થઇ

(8:47 pm IST)