Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમદાવાદ સહિત રાજયમાં શરૂના આયોજનો ખોરવાયા

રાજપથ-કર્ણાવતી કલબમાં બે દિવસ ગરબા રદ : ભારે વરસાદથી અસરગ્રસ્ત સ્થળો પર પહેલા બે દિવસના નોરતાના કાર્યક્રમો રદ : ખૈલેયાઓ-આયોજક ભારે ચિંતિત

અમદાવાદ, તા.૨૮ :  નવરાત્રિનું પર્વ ગુજરાતનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મહત્વનું પર્વ મનાય છે અને ગુજરાતીઓ તેની ભારે ધાર્મિક આસ્થા અને રાસ-ગરબાની રમઝટ અને મોજ-મસ્તી સાથે ઝુમીને ઉજવણી કરતા હોય છે પરંતુ આ વખતે ટ્રાફિકના નવા આકરા નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ બની છે. ખાસ કરીને રાસ-ગરબાના સ્થળોએ પાર્કિંગ, સીસીટીવી સહિતના કેટલાક નિયમોના કારણે ઘણા આયોજકો રાસ-ગરબાની પરમીશન મેળવવામાં જ ઉણા ઉતર્યા તો, રહી ાહી કસર વરસાદે પૂરી કરી નાંખી. રાજપથ, કર્ણાવતી સહિતની કલબો, પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસમાં વરસાદી પાણી ફરી વળતાં પહેલા બે દિવસ તો મોટાભાગના સ્થળોએ નવરાત્રિના રાસ-ગરબાના આયોજનો ખોરવાઇ ગયા છે. અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એવી રાજપથ અને કર્ણાવતી કલબમાં તો, વરસાદને લઇ વણસેલી સ્થિતિના કારણે પહેલા બે નોરતાના રાસ-ગરબાના કાર્યક્રમ રદ કરવા પડયા છે.

                   તો, શહેરના અન્ય સ્થળોએ પણ કંઇક આવી જ હાલત જોવા મળી રહી છે. રાજયના વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં પણ ખૈલેયાઓ અને આયોજકની આવી જ કફોડી હાલત બની છે. આવતીકાલથી નવરાત્રિ શરૂ થઇ રહી છે અને હજુ પણ મેઘરાજાની અવિરત મેઘસવારી જારી રહેતાં અમદાવાદ સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ભરાયેલા પાણી અને વરસી રહેલા વરસાદ વચ્ચે રાસ-ગરબાના મોટા-મોટા આયોજનો જાણે કે ધોવાઇ ગયા છે. તો, ગરબા આયોજકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજીબાજુ, સતત વરસાદથી નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ અને ઉજવણીમાં ભંગ પડવાની સ્થિતિ બનતાં ખૈલેયાઓમાં પણ ભારે નિરાશા વ્યાપી ગઇ છે. સૌકોઇ મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરતાં જોવા મળી રહ્યા છે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાંક પાર્ટી પ્લોટોમાં ગરબા કેન્સલ થયાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીના પગલે અમદાવાદના જાણીતા પાર્ટીપ્લોટ કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.

                  આ સિવાય અમદાવાદમાં આવેલા ગુલમહોર ગ્રીન્સમાં થતા બીએનઆઇના ગરબા પહેલા દિવસ માટે કેન્સલ કર્યા છે. આ સિવાય રાજ્યભરની એવી અનેક જગ્યાઓ અને સ્થળો છે, જ્યાં ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઇ જવાના કારણે ગરબા કેન્સલ કરવાનો વારો આવ્યો છે. અમુક આયોજકોએ તો ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ રાસ-ગરબાના કાર્યક્રમો રદ કરતાં ખૈલેયાઓ ભારે નિરાસામાં ગરકાવ બન્યા છે.  અમદાવાદની જેમ, વડોદરામાં કેટલીક જગ્યાએ ગરબા કેન્સલ થયાના અહેવાલ મળી રહ્યા છે. વડોદરાના કારેલીબાગના અંબાલાલ પાર્કના ગરબા જાણીતા છે, ત્યારે તેમણે પહેલા દિવસના ગરબા કેન્સલ કર્યા છે. કેટલાંક ગરબા આયોજકોએ એડવાન્સ બુકિંગને બદલે જે તે દિવસે ગરબા શરૂ થાય પછી જ પાસ વેચવાનો નિર્ણય કર્યો છે.

ઘટસ્થાપનની વિધિ.....

અમદાવાદ, તા. ૨૮ : અધિકારી આચાર્ય કે જ્ઞાનસંપન્ન ગુરુવર્યના સંપૂર્ણ માર્ગદર્શન અનુસાર સૂચિત મંગલકારી શુભ મુહૂર્તમાં ઘરના દેવાલયમાં કે યોગ્ય સાનુકૂળ સ્થળે, ધોળી માટી અને ગાયના પવિત્ર છાણ વડે તે જગ્યા પર લીંપણ કરી, બાજઠ ઢાળી, બાજઠને લાલ કે લીલા રેશમી વસ્ત્રથી (સ્થાપનથી) આચ્છાદિત કરી, તેમાં ધાન્ય તરીકે ચોખા (અક્ષત) પધરાવી, માની મૂર્તિનું સ્થાપન કરવું. જો મૂર્તિ ન હોય તો, નવાર્ણ મંત્રયુક્ત યંત્રની સ્થાપના કરવી. પીઠ પૂજા માટે પાંચ પલ્લવ(કપૂરી પાન પણ લઇ શકાય)થી યુક્ત જળ ઘડામાં પૂજન અર્થે કંકુ, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, સોપારી, લીલી ધરો અને રોકડો રૂપિયો પધરાવી અખિલ બ્રહ્માંડમાં જડ અને ચેતન સર્વ પરિબળો સમન્વિત સમગ્ર વિશ્વ આપણું કલ્યાણ-રક્ષણ કરે તે માટે પ્રાર્થના કરવી. જવારા તથા કુંભસહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અધિકારી આચાર્ય પાસે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી. પ્રતિદિન ચંડીપાઠ પણ કરી-કરાવી શકાય. દરરોજ એક કુમારિકાનું પૂજન કરી, રોજ એક કુમારિકા વધારતાં જઇ, નવ દિનપર્યંત, નવદુર્ગાના પ્રતીક સમાન કુમારિકાઓને પૂજી, પ્રત્યેક કુમારિકાને વસ્ત્ર, અલંકાર, આભૂષણ અર્પણ કરી, દક્ષિણા આપી, ભોજનથી તૃપ્ત કરવી.

(8:51 pm IST)