Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કોંગ્રેસે હંમેશા સરદાર પટેલનું અપમાન કર્યુ છે : જીતુ વાઘાણી

વિશ્વના દેશો મોદીના કાર્યોની પ્રશંસા કરી રહ્યા છેઃ અપમાન બદલ રાહુલ અને કોંગ્રેસ દેશના અને ગુજરાતના લોકોની માફી માંગે : નિવેદન સામે મહાનગરોમાં દેખાવો

અમદાવાદ,તા.૨૮: પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ બાબતે આપેલા નિવેદન અંગે તીવ્ર પ્રત્યાઘાત આપતા આપતા જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વિશે વાહિયાત નિવેદનો દ્વારા કોંગ્રેસે દેશ અને ગુજરાતની જનતાનું હળાહળ અપમાન કર્યુ છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માંગણી જીતુ વાઘાણીએ કરી હતી. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની કલ્પના સાકાર થઇ છે. તે કોંગ્રેસથી સહન થતું નથી. કોંગ્રેસે તેમના શાસનકાળ દરમ્યાન હંમેશા દલાલી અને કટકીઓ જ કરી છે માટે તેમને દરેક બાબતમાં દલાલી જ દેખાય છે. સરદાર સાહેબ દેશના તમામ વર્ગ-જાતિ-સમુદાય માટે સન્માનનીય છે તેઓ એક ''રાષ્ટ્રનેતા'' હતા. કોંગ્રેસે સરદાર સાહેબનું દરેક તબક્કે અપમાન કર્યુ છે. સંસદમાં તૈલચિત્ર મુકવાની બાબત હોય કે ભારતરત્ન આપવાની વાત હોય, કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન જ કર્યુ છે. વાઘાણીએ રાહુલ ગાંધી સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ભારતમાં ઇટાલીની પ્રોડક્ટ પ્રજા સ્વીકારતી નથી, તેમા અમારો કોઇ જ વાંક નથી. ભારતની શાણી અને સમજુ પ્રજા બધુ જ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને રાષ્ટ્રભક્તિ માટે કોઇના સર્ટીફિકેટની જરૃર નથી. દેશભક્તિ તેમના રોમેરોમમાં સમાયેલી છે. વિશ્વની જુદી જુદી સંસ્થાઓ તેમજ વિશ્વના પ્રત્યેક નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોને વખાણે છે, અભિનંદન આપે છે અને જુદા-જુદા વૈશ્વિક એવોર્ડથી નવાજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પેટમાં ચૂંક આવે તે સ્વાભાવિક છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં રાજકારણ ન થવું જોઇએ. મહાપુરુષોનું સન્માન એ ક્યારેય રાજકારણનો મુદ્દો ન હોઇ શકે. કોંગ્રેસના શાસનમાં માત્રને માત્ર પરિવારનું જ સન્માન થતું હતુ. તેથી રાષ્ટ્રનેતાઓનું સન્માન તેમનાથી સહન થતું નથી. ગુજરાત અને ગુજરાતીઓ કોંગ્રેસને હંમેશા આંખમાં કણાની માફક ખૂંચેછે.

વડાપ્રધાનને ગાળો ભાંડીને કોંગ્રેસ દેશની આબરુ વૈશ્વિક કક્ષાએ ખરડી રહી છે. તે દેશની જનતા સુપેરે જાણે છે અને સમયાંતરે પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવ્યું છે અને હજી પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો ભારતની શાણી સમજુ પ્રજા કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રહિતમાં ઓતપ્રોત ભાજપાની સરકાર કેન્દ્રમાં બનાવશે તેવો વિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.  આજરોજ સમગ્ર રાજ્યના મહાનગરોમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે દેખાવોના કાર્યક્રમો યોજાયા હતા, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી બનાસકાંઠામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. અને આવતીકાલે જીલ્લા સ્તરે અને તે પછી તાલુકા મંડલ સ્તરે દેખાવોના કાર્યક્રમો યોજાશે.

(10:16 pm IST)