Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમદાવાદમાં કાલે રસી આપવાનું બંધ રહે તેવી સ્થિતિ

સમયસર વેકિસનનો જથ્થો નહી આવે તો

અમદાવાદ,તા.૨૮:  વેકિસન મહાઅભિયાનની શરૂઆતમાં જ અમદાવાદ સહિત અનેક શહેરોમાં વેકિસનનો પુરતો જથ્થો ન હોવાની ફરિયાદો સામે આવી છે, ત્યારે અમદાવાદમાં માત્ર ૨૫૦૦૦ ડોઝ ઉપલબ્ધ હોવાને કારણે, મંગળવારે વેકિસન કાર્યક્રમ બંધ રહેવાની શકયતા સેવાઈ રહી છે.

શહેરમાં માત્ર ૨૫૦૦૦ વેકિસન ડોઝ ઉપલબ્ધ છે, જો રસીનો પર્યાપ્ત જથ્થો આજે સોમવારે નહિ મળે તો મંગળવારે સમગ્ર શહેરમાં રસીકરણ કાર્યક્રમ બંધ રહે તેવી સંભાવના છે.

હાલ, કોરોના સંક્રમણને રોકવા માટે વેકિસન જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. ત્યારે સરકાર દ્વારા ૨૧ જુનથી સમગ્ર દેશમાં રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. જેમાં ૧૮ વર્ષથી મોટી આયુના કોઈ પણ વ્યકિત, નિર્ધારિત કરેલા રસી કેન્દ્ર પર જઈને અગાઉથી નોંધણી કરાવ્યા વિના સ્થળ પર નોંધણી કરાવીને રસી લઈ શકે છે. પરંતુ કોરોનાની વેકિસનનો પુરતો જથ્થો ન હોવાને કારણે, રસી મેળવવા ઈચ્છુક લોકોને હાલાકી ભોગવવી પડે છે.

અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડર દ્વારા થતું કોરોના સંક્રમણ અટાકાવવા માટે દુકાનદારો અને વ્યાવસાયિકોને વેકિસન લેવા માટેની ૧૦ જુલાઈ સુધીની ડેડ લાઈન આપી છે. પરંતુ વેકિસનનાં પુરતા જથ્થાના અભાવે લોકોને રસી વિના રસીકેન્દ્ર પરથી પરત ફરવુ પડે છે. એટલુ જ નહી કોરોનાની રસી લેવા માટેની જે આખરી તારીખ નક્કી કરી છે તે તારીખ સુધીમાં રસી મળી રહેશે કે નહી તેની પણ ચિંતા સતાવી રહી છે.

અમદાવાદ શહેરમાં રવિવારે માત્ર ૨૦,૦૦૦ લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યું. ઉપરાંત એક લાખ લોકોની સામે માત્ર ૧૦,૦૦૦ વેકિસનની ફાળવણીને કારણે શહેરનાં અનેક વેકિસન સેન્ટરમાં વેકિસનની અછત સામે આવી છે.

વેકિસન મહાઅભિયાનની શરૂઆતમાં જ અમદાવાદ સહિત અનેક શહેરોમાં વેકિસનનો પુરતો જથ્થો ન હોવાની ફરિયાદો સામે આવી છે. જેને કારણે સરકારના વેકિસનેશન અભિયાન પર હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે.

અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈએ રસીની અછતના મુદ્દે આ સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં રોજ ૩થી ૪ લાખ વેકિસનના ડોઝ મોકલવામાં આવે છે. પરંતુ શહેરમાં વેકિસનની અછતને જોતા ચિત્ર કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છે.

(3:44 pm IST)