Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ITIના તુક્કા પછી હવે જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરાશે

ટ્રાન્સપોર્ટ મંત્રાલયની જનસુવિધા કેન્દ્રોમાંથી લાઇસન્સ આપવા લીલીઝંડી : ફોર્મ ભરવાથી માંડીને કમ્પ્યુટર ટેસ્ટ જેવી તમામ સવલત કેન્દ્રમાં જ મળશે

સુરત તા. ૨૮ : હવે વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે આરટીઓ કચેરી કે આઇટીઆઇ કચેરીમાં જવાથી મુકિત મળી શકે છે. કેમકે, જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે. જનસુવિધા કેન્દ્રો પર ડ્રાઈવિંગ લાઇસન્સના ફોર્મ ભરવાથી માંડીને તમામ સુવિધા આપવા મુદ્દે કેન્દ્રીય પરિવહન વિભાગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. એટલે કે જનસુવિધા કેન્દ્ર માટે કેન્દ્રીય પરિવહન વિભાગે ગેઝેટ પ્રસિદ્ઘ કરી દીધું છે. હવે રાજય સરકાર ગેઝેટ જારી કરશે તો ગુજરાતમાં આ સુવિધા અમલી થશે.

રાજયમાં વાહનોની સંખ્યા વધવા સાથે ડ્રાઈવિંગ લાઇસન્સ લેનારાઓની સંખ્યા પણ વધી રહી છે. સુરતની જ વાત કરીએ તો જિલ્લાની ૧૦થી ૧ર આઇટીઆઇ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઈસન્સ ઈશ્યૂ કરાઇ રહ્યું છે તેમ છતાં મોટાભાગની ૧૧૧ કચેરીમાં ૬૦થી ૯૦ દિવસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે સુરતમાં પાકા ડ્રાઈવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે ૯૦ દિવસનું વેઇટિંગ છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે લોકો સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે તે માટે સરકારે જનસુવિધા કેન્દ્રો પરથી લાઇસન્સ આપવા કેન્દ્રના પરિવહન વિભાગે ૨૪મી જૂનના રોજ નોટિફિકેશન જારી કરી કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમાવલી ૧૯૮૯ના પેટા નિયમ ૨ (ગધ) હેઠળ પરિપત્ર જારી કરી જનસુવિધા કેન્દ્ર થકી લાઇસન્સ આપવાની પ્રક્રિયાને માન્યતા આપી છે.(૨૧.૧૯)

ગેઝેટ પ્રસિધ્ધ નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં અમલ નહીં થાય

કેન્દ્ર પરિવહન વિભાગે ભૂતકાળમા ઘણા પરિપત્રો પ્રસિદ્ઘ કયાં છે. પરંતુ તેમાના કેટલાય પરિપત્રો-નિયમોને આજદિન સુધી રાજય સરકારે અમલવારી કરી નથી. રાજય સરકાર પરિપત્ર જારી કરશે તો જ તેની અમલ થઇ શકશે. કેમકે.જનસુવિધા કેન્દ્ર મુદ્દે રાજય સરકાર નોટિફિકેશન નહીં પાડે તો હાલ ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યુ કરવાની જે પ્રથા છે તે મુજબ જ ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યુ કરાશે.

આખી સિસ્ટમની ગોઠવણની અસ્પષ્ટતા

પાસપોર્ટની જેમ અલગથી જનસુવિધા કેન્દ્રો ખોલવામાં આવશે કે પછી સરકારના અન્ય જન સુવિધા કેન્દ્રો પરથી જ ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યુ થશે. જનસુવિધા કેન્દ્ર મુદ્દે કોઇ સ્પષ્ટતા થઇ નથી. પરંતુ આ અંગે ટૂંક સમયમાં ડિટેઇલ જારી કરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(1:06 pm IST)