Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ભારતી બાપુનાં આશ્રમમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી નહીં થાય

ઘરે જ પૂજન કરવાની અપીલ : કોરોનાનાં સંક્રમણને લીધે અમદાવાદના ભારતી બાપુનાં આશ્રમનાં મોટાભાગનાં કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે

અમદાવાદ, તા. ૨૮ : રાજ્યભરમાં ગુરૂપુર્ણિમાનું અનોખું મહત્વ છે. આગામી મહિનાની પાંચમી જુલાઈએ ગુરૂ પૂર્ણિમાનો પર્વ છે. જેના કારણે દર વખતે રાજ્યભરનાં આશ્રમમાં આખા દિવસનાં કાર્યક્રમો રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસનાં વધતા સંક્રમણને કારણે અમદાવાદમાં આવેલા ભારતીબાપુનાં આશ્રમનાં મોટાભાગનાં કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. આ સાથે મહામંડલેશ્વર ભારતીબાપુએ અપીલ કરતા જણાવ્યું છે કે, લોકો ઘરે બેઠા પૂજન કરે. મહામંડલેશ્વર ભારતીબાપુએ જણાવ્યું કે, માત્ર ગુરૂપૂજનનો જ ઉત્સવ મનાવીને રાતે જે ભોજનનાં અને અન્ય કાર્યક્રમો હોય છે તેને બંધ રાખવામાં આવ્યાં છે. આપણા જનજનની સુરક્ષા અને હિત માટે આપણા જે દિવસ અને રાતના જાહેર કાર્યક્રમો રહે છે તે સદતંર બંધ રાખવામાં આવશે.

              જે લોકહિત માટે ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને પગલે આશ્રમમાં ૧૯૭૬ પછી પહેલીવાર ગુરૂ પૂર્ણિમાની પરંપરા તૂટશે. આ ઉપરાંત ગુરૂ આશ્રમ બગદાણા ખાતે તા.૫-૭ના રોજ ગુરૂપૂર્ણિમાનો મહા ઉત્સવ કોરોના મહામારીને ધ્યાને લઈ બંધ રાખેલછે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂ આશ્રમ બગદાણા, નવા સાંગાણા ખાતે આવેલ અંબિકા આશ્રમ, સિધ્ધ ગણેશ આશ્રમ મોટા ખુંટવડા સિહોર તાલુકાના મઢડા ગામે ભગવતી આશ્રમ નવદુર્ગા મંદિર, ખદરપર ખાતે આવેલ સ્વામી હરીદાસજીબાપુની જગ્યામાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી નહીં કરાઈ. વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે, જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહીં. સત્સંગ કે સંતવાણી વગેરે સાથે અહીંયા આ મહોત્સવ ઉજવવામાં નહીં આવે તેમજ જાળિયા, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત વગેરે વિસ્તારના ભાવિકોએ આ પર્વે અહીં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી થવાની નથી તેમજ ભાવનગર ખાતે પણ ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી આ વર્ષે બંધ રહશે.

(10:42 pm IST)