Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમદાવાદના ઇસનપુરમાં કેમ છો શેઠ 'કહી વેપારીની પીઠમાં ગોળી મારી :પત્ની સામે જોતો હોય ઠપકો આપતા ઉશ્કેરાયેલ

દુકાન સામે જ શેરડીનો સંચો રાખનાર પરપ્રાંતિય શખ્સ કાળું પંડિતનું કૃત્ય

અમદાવાદના ઈસનપુરમાં ફેબ્રીકેશનના એક વેપારીને જૂના પાડોશીએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પીઠમાં ગોળી મારી દેતા દેતા ચકચાર મચી હતી.સવારે વેપારી જ્યારે પાડોશની દુકાનમાં નાળીયેર લેવા ઉભા હતા ત્યારે જુનો પાડોશી તેમની પાછળ આવીને ઉભો રહી ગયો હતો અને ‘કેમ છો શેઠ?’ કહી ગોળી મારી દીધી હતી. વેપારીની પત્નીએ ફરિયાદ કરી છે કે, હુમલાખોર કાળુ પંડિત નામના શખ્સે તેમની દુકાનની સામે શેરડીનો સંચો ચાલુ કર્યો હતો. કાળુ અવારનવાર પરણિતા સામે જોતો હોઇ વેપારી પતિએ તેને ઠપકો આપ્યો હતો. આ વાતની અદાવત રાખી ગોળી મરાઈ છે. મોડી સાંજે એલ.જી. હોસ્પિટલમાં વેપારીનું ઓપરેશન કરીને ગોળી બહાર કઢાઈ હતી. 

 અંગેની વિગત મુજબ ઈસનપુર વિશાલનગર પાસે ન્યૂ યોગેશ્વર સોસાયટીના નાકા પર ચામુંડા ફેબ્રીકેશનના નામથી દુકાન ધરાવતા સુરેશભાઈ તેમના પરિવાર સાથે દુકાનની પાછળ જ પરિવાર સાથે રહે છે. તેમની દુકાનની સામે ચારેક મહિના પહેલા કાળુ પંડિતે દુકાન ભાડેથી લઈને શેરડી અને કેરીના રસનો સંચો શરૂ કર્યો હતો. કાળુ અવારનવાર સુરેશભાઈના પત્ની પારૂલબેન સામે જોતો હોય પારૂલબેને આ વાત પતિને કરી હતી. સુરેશભાઈએ આ મુદ્દે કાળુને ઠપકો પણ આપ્યો હતો. 

  આ ઘટના બાદ કાળુ દુકાન બંધ કરીને ત્રણેક મહિના માટે વતન મધ્ય પ્રદેશ જતો રહ્યો હતો. દરમિયાન આજે સવારે સુરેશભાઈ બાજુની કરિયાણાની દુકાને નાળીયેર લેવા ઉભા હતા ત્યારે કાળુ તેમની પાછળ આવીને ઉભો રહી ગયો હતો. કાળુએ સુરેશભાઈને કેમ છો શેઠ? કહેતા સુરેશભાઈ મજામાં કહી નાળીયેર લેવામાં વ્યસ્ત થયા હતા. આ સમયે કાળુએ હથિયાર કાઢી ખભાના ભાગ નીચે બંદૂકનું નાળચુ મુકીને એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. ઓચિંતા ગોળી વાગતા સુરેશભાઈ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા અને ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યાં હતા. જ્યારે કાળુ પંડીત લોકો આવે તે પહેલા બંદૂક લઈને ભાગી ગયો હતો. 

સુરેશભાઈને એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં હતા. સાંજે સુરશભાઈની પીઠમાંથી ગોળી કાઢવામાં આવી હતી. ઈસનપુર પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાળુ પંડિતની શોધખોળ શરૂ કરી હતી.

(1:21 pm IST)