Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જેમ રામચંદ્રજી ભગવાનના ચરિત્રો સાગર જેવા અનંત અને અપાર છે તેમ હનુમાનજી મહારાજના ચરિત્રો પણ સાગર જેવા અનંત અને અપાર છે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી.

હનુમાન જયંતીના પુનિત પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે યોજાયેલ મારુતિ યજ્ઞ

            અમદાવાદતા. ૨૮ ચૈત્ર સુદ પુનમ હનુમાનજી મહારાજના જન્મદિન પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી અને વેદપાઠી શ્રી સત્યજીતજીના માર્ગદર્શન સાથે હનુમાનજી મહારાજનું ષોડશોપચાર સાથે પૂજન કરી મારુતિ યજ્ઞ કર્યો હતો.

            આ મારુતિ યજ્ઞમાં ઘી, તલ, સરસવ, આંકડો વગેરે પંચદ્રવ્યોથી હનુમદ્ મંત્ર તથા હનુમાન માલા મંત્રથી અગ્નિનારાયણને ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ યજ્ઞાન્તે પૂર્ણાહૂતિની આરતિ ઉતારી હતી.

            હનુમાન જયંતીનુ માહાત્મ્ય સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે હનુમાનજી મહારાજનો જન્મ તિરુપતિ ક્ષેત્રમાં આકાશ ગંગા તીર્થમાં માતા અંજનિના કુખે થયો હતો. જે હનુમાનજી મહારાજને કેસરી નંદન, પવનપુત્ર, અંજનિપુત્ર અને શંકર સુવન પણ કહેવાય છે.

            જેમ રામચંદ્રજી ભગવાનના ચરિત્રો સાગર જેવા અનંત અને અપાર છે તેમ હનુમાનજી મહારાજના ચરિત્રો પણ સાગર જેવા અનંત અને અપાર છે.

            અત્યારે કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અને પવનની ગતિએ પ્રસરી રહ્યો છે ત્યારે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી એ કે, જેમ આપે અનેક અસુરોનો સંહાર કર્યો હતો તેમ આ કોરોના મહામારીનો પણ નાશ કરી સર્વનું રક્ષણ કરો.

            સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતુ કે જેમ આજે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે તેમ કચ્છ કડવા પાટિદાર સત્સંગ સમાજના પ્રેરણામૂર્તિ અને ભકતરાજ કેસરા પરમેશ્વરાનો પણ જન્મ દિવસ છે. તેમનો જન્મ વિ.સંવત ૧૮૨૪માં થયો હતો.

વિ.સં.૧૮૬૫માં ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંતશ્રી મુ્ક્તાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી સત્સંગી થયા હતા. તેમણે પ્રથમ કચ્છ નેત્રા ગામે સ્વામિનારાયણનું મંદિર બંધાવી આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હસ્તે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી.

            તેમણે કડવા પાટિદાર સત્સંગ સમાજને આગળ લાવવા તેમજ વિશાળ સમાજને હિન્દુ ધર્મ સાથે જોડી રાખવા પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. અેમણે સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલા અનેક કુરિવાજોને તિલાંજલિ અપાવી હતી. આજે પણ ભારતના ખૂણે ખૂણે કડવા પાટિદારોએ  ધાર્મિક સંસ્કારો જાળવી રહ્યા છે.

પ્રતિ, આદરણીય તંત્રી શ્રી                                                                     - કનુભગત

(3:13 pm IST)