Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજ્યના દરેક જિલ્લા મથકોએ 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવશે કોરોનાથી જીવ ગુમાવનાર પોલીસ-સુરક્ષાકર્મીને રપ લાખની સહાય અપાશે

રાજ્યના તમામ ધારાસભ્યો રપ લાખની ગ્રાન્ટ ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે : મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયો લેવાયા

અમદાવાદ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે  લોકડાઉનને સફળ બનાવવા – લોકોની રક્ષા કરવા – જરૂરતમંદોની જરૂરિયાત પૂર્ણ કરવા દિવસ-રાત ફરજરત પોલીસ-સુરક્ષાકર્મીઓને કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપશે  અને  રાજ્યના તમામ ધારાસભ્યો રૂ. રપ લાખની ગ્રાન્ટ કોરોના વાયરસની બિમારીની સારવારના સાધનો-દવાઓ-વેન્ટીલેટર-ડાયાલીસીસ-ટેસ્ટીંગ સાધનો વગેરે માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે દરેક જિલ્લા મથકોએ ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવામાં આવશે
  વિશ્વવ્યાપી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતીની નિયમીત સમીક્ષા માટે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોની આ મુજબ જાહેરાત કરી હતી.  
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેને રાજ્યમાં સફળ બનાવવા પોલીસકર્મીઓ ર૪ કલાક દિવસ-રાત ફરજ બજાવે છે. 
એકબીજાના સંપર્કમાં આવવાથી વ્યાપકપણે ફેલાતો કોરોના વાયરસ વધુ પ્રસરે નહી તે માટે કોઇપણ વ્યકિત પોતાના ઘરની બહાર ન નીકળે, લોકો પોતાના ઘરમાં જ રહે તે માટે પોતે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સતત ફરજ બજાવતા પોલીસ, એસ.આર.પી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો સહિત જેઓ લોકોની સુરક્ષા સાથોસાથ જરૂરિયાતની સેવાના કામો પણ આ વિકટ પરિસ્થિતીમાં કરે છે. નિ:સહાય વૃદ્ધોને મદદ કરવી, નિરાધાર લોકોને જમવાની વ્યવસ્થા સંભાળવી જેવા સેવાના કામો કરતા આ સુરક્ષાકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી રાજ્ય સરકારે તેમની સહાયતા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આવા જવાનોને કોરોના સંદર્ભમાં ફરજ દરમિયાન  ગંભીર બિમારીની  સ્થિતી સર્જાય અને કોઇનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારજનોની વિપદામાં પડખે ઉભી રહી રાજ્ય સરકાર રૂ. રપ લાખની સહાય કરશે તેમ જાહેર કર્યુ હતું.
તેમણે કહ્યું કે કોરોના સામેનો આ જંગ ઓછામાં ઓછા લોકોના મૃત્યુથી આપણે જીતવો છે. આમ છતાં જો કોઇ વિકટ સ્થિતી સર્જાય અને આવા સુરક્ષાકર્મી પોતાનો જીવ ગુમાવે તો રાજ્ય સરકાર તેમની પડખે રહે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
 રાજ્યના દરેક જિલ્લામથકોએ ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવામાં આવશે:-  
   વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.  આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે ૧૦ આઇ.સી.યુ અને ૯૦ બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ હતું.
 દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી રૂ. રપ લાખ કોરોના વાયરસના ઇલાજ માટે દવાઓ-સાધન સુવિધાઓ માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે :-
મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારી સામે રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરીમાં સહાયરૂપ થવા દરેક ધારાસભ્યએ રજૂઆત કરી હતી.
ધારાસભ્યોની આ રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ ધારાસભ્યો રૂ. રપ લાખ સુધીની ગ્રાન્ટ કોરોના વાયરસના  ઇલાજ અને દવાઓ, વેન્ટીલેટર, ડાયાલીસીસ મશીન, પોષાક સુવિધાઓ  તથા ટેસ્ટીંગ સાધનો માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે તેની જાહેર પણ મુખ્યમંત્રી કરી હતી.

(8:05 pm IST)