Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના અંગે PILમાં વિડિયો કોન્ફરન્સથી કરાયેલ સુનાવણી

સરકાર દ્વારા હાઇકોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂૂ : કોરોનાને નાથવા માટેના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો જારી રાખવા હાઇકોર્ટની સરકારને કડક સૂચનાઓ

અમદાવાદ,તા. ૨૭કોરોના સંકટ વચ્ચે સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો, મેડિકલ સ્ટાફ સહિતના સંબંધિત લોકોને પ્રોટેકટીવ કીટ સહિતની આરોગ્ય વિષયક સેવા અને જરૂરી લાભો પૂરા પાડવા દાદ માંગતી દાહોદના પૂર્વ સાંસદ ડો.પ્રભા તાવિયાડ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે વીડિયો કોન્ફરન્સથી તમામ પક્ષકારો દ્વારા પોતપોતાના પક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સીંગની અપીલને સહકાર આપવા પ્રજાને અનુરોધ કરવાની સાથે સાથે હાઇકોર્ટે ગુુજરાત સરકારને કોરોનાને નાથવાના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો જારી રાખવા પણ નિર્દેશ કર્યો હતો. આજે રાજય સરકાર તરફથી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લેવાયેલા પગલાઓની માહિતી રજૂ કરતો એકશન ટેકન રિપોર્ટ પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો.

       અરજદારપક્ષ તરફથી એડવોકેટ મનદીપસીંગ સલુજાએ હાઇકોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, કોરોનાના રાજયમાં વધતાં કહેર વચ્ચે અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અને સેવા કરી રહેલા તબીબો, મેડિકલ સ્ટાફ સહિતના લોકોને પ્રોટેકટીવ કીટ સહિત સેવાઓ માટે સરકારને હાઇકોર્ટે જરૂરી આદેશો આપવા જોઇએ કારણ કે, આવા કપરા સમયમાં સેવા કરતાં લોકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો બની રહે છે. પિટિશનમાં શ્રમજીવી પરિવારો અને ગરીબ પરિવારો કે જેઓ પોતાના વતનની વાટ પકડવા ઇચ્છી રહ્યા છે અને તેઓ પગપાળા હાઇવે પર જઇ રહ્યા છે  ત્યારે તેઓને ભોજન કે જમવાની વ્યવસ્થા માટે સરકારે શું પગલાં લીધા છે તે પણ જાણવુ જરૂરી છે.

       દરમ્યાન કેસમાં રાજય સરકાર તરફથી આજે એકશન ટેકન રિપોર્ટ રજૂૂ કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે, રાજયભરના જુદા જુદા ક્ષેત્રના કામદારો, અસંગઠિત કામદારો, શ્રમજીવીઓ સહિતના ગરીબ પરિવારોને જમવા માટે સ્થાનિક મહાનગરપાલિકાએ અન્ય સ્વૈચ્છિક સંસ્થાની મદદથી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, રોજના ૩૫હજારથી વધુ ફુડપેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે. જે શ્રમજીવીઓ હિજરત કરી રહ્યા છે, તેઓને ઘરની બહાર નહી નીકળવા અને વતનમાં નહી જવા અપીલ કરાઇ છે.

       તેઓને ખર્ચા આપવા, રહેવા, જમવાની વ્યવસ્થા પૂરી પાડવાનું આયોજન હાથ ધરાયું છે. સરકારે પણ સ્પષ્ટ કર્યું કે, ડોકટરો, મેડિકલ સ્ટાફ, નર્સ સહિતના લોકોને કરફયુ પાસની જરૂર નથી, તેઓ માત્ર આઇ કાર્ડના આધારે બેરોકટોક તેમની તબીબી ફરજ અદા કરવા આવજા કરી શકશે. સરકારની પ્રોટેકટીવ કીટ, માસ્ક, કેપ, એપરન ગાઉન, ગ્લોવ્ઝ સહિતની કીટ ૨૮હજાર કીટો ઉપલબ્ધ છે અને સંબંધિત તબીબો કે મેડિકલ સ્ટાફને કીટ અપાયેલી છે. કોરોનાને નાથવાના ભારે અસરકારક અને યુધ્ધના ધોરણે સરકાર અને તંત્ર દ્વારા તમામ પ્રકારે પગલાં, નિર્ણય લેવાઇ રહ્યા છે.

(9:49 pm IST)