Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

૧ એપ્રિલથી પર્યાવરણલક્ષી બીએસ-૬ ઈંધણ ઉપલબ્ધ

રાજયના તમામ પેટ્રોલપંપો પર અમલી બનશે બીએસ-૬ ઇંધણથી પેટ્રોલ-ડિઝલના વાહનો સીએનજીની શ્રેણીમાં આવી જશે : પ્રદૂષણમાં નોંધાયેલો નોંધપાત્ર ઘટાડો

અમદાવાદ,તા.૨૭ : ગુજરાત સહિત દેશભરમાં તા.૧લી એપ્રિલ,૨૦૨૦થી પર્યાવરણલક્ષી અને વિશ્વમાં સૌથી સારી ગુણવત્તાયુકત ઇંધણ હવે વાહનોમાં ઉપલબ્ધ બનશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ રાજયના તેના તમામ પેટ્રોલપંપો પરથી તા.૧લી એપ્રિલથી તમામ વાહનો માટે બીએસ-૬ ઇંધણ ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સ્તરે બીએસ-૪ ઇંધણમાંથી બીએસ-૬માં પરિવર્તિત કરવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.ને અંદાજે રૂ.૧૭ હજાર કરોડથી પણ વધુનો અધધધ...ખર્ચ થયો છે. બીએસ-૬ વાહનોમાં ઉપલબ્ધ થવાના કારણે પેટ્રોલ-ડિઝલના વાહનો પણ સીએનજીની શ્રેણીમાં જ આવી જશે અને બીએસ-૬ ઇંધણથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો અને પર્યાવરણ જાળવણીમાં બહુ મોટો ફાયદો થશે એમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.ના ગુજરાતના પ્રભારી એસ.એસ.લાંબાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આવેલા આઇઓસીના તમામ ૧૪૩૭ પેટ્રોલપંપો પરથી બીએસ-૬ ઇઁધણ ફરજિયાતપણે ઉપલબ્ધ બનાવાશે. હાલ વાહનોમાં બીએસ-૪ ઇંધણ પૂરવામાં આવે છે

           પરંતુ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ હવે તા.૧લી એપ્રિલ,૨૦૨૦થી બીએસ-૬ ઇંધણની અમલવારી શરૂ થવા જઇ રહી છે, જે બહુ મોટી અને ક્રાંતિકારી પહેલ કહી શકાય. ભારતે જ્યારે બીએસ-૪માંથી સીધા જ બીએસ-૬ ઈંધણના વપરાશ તરફ આગેકૂચ કરી છે ત્યારે ઈન્ડિયન ઓઈલ દ્વારા પણ આગામી તા.૧ એપ્રિલ, ૨૦૨૦થી બીએસ-૬ ઈંધણ ઉપલબ્ધ બનાવવા તેમ જ બીએસ-૬ ઈંધણ પૂરું પાડવા માટેના ગુણવત્તા નિયમનના ચુસ્ત અનુપાલન માટે રિફાઈનરીઝ, પાઈપલાઈન્સ, સ્ટોરેજ ટર્મિનલ્સ તથા રિટેલ આઉટલેટ્સ જેવી તમામ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરાયો છે. વર્તમાન બીએસ-૪ ઈંધણના ૫૦ પીપીએમ સલ્ફર કન્ટેન્ટની તુલનાએ બીએસ-૬ ઈંધણમાં સલ્ફર કન્ટેન્ટ ૧૦ પીપીએમ છે. બીએસ-૬ ઈંધણ ગ્રીનહાઉસ વાયુઓ, ખાસ કરીને (કાર્બન ડાયોકસાઇડ), નહીં બળતાં નાઈટ્રોજન તથા સલ્ફરના હાઈડ્રોકાર્બન્સ અને ઓક્સાઈડ્સના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરતું હોવાથી હવાના પ્રદુષણમાં ઘટાડો થાય છે. અખિલ ભારતીય સ્તરે બીએસ-૬માં પરિવર્તિત થવાનો આયોજિત ખર્ચ આશરે રૂ. ૧૭,૦૦૦ કરોડ જેટલો થશે.

(9:37 pm IST)