Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આતંકવાદનો કોઇ ધર્મ નથી તો ત્રાસવાદીને દફનાવાય છે કેમ

દ્વારકા શારદાપીઠના દંડી સ્વામીનું આક્રમક નિવેદનઃ ભારતીય સેનાની એર સ્ટ્રાઇક બિરદાવવાપાત્ર છે : ભારતે પાકિસ્તાનની સાથે વાતચીત કરવી જોઇએ નહી : સ્વામી

અમદાવાદ,તા. ૨૮: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાના શારદાપીઠના દંડી સ્વામી અને શંકરાચાર્યના શિષ્ય સદાનંદ સરસ્વતીએ આતંકવાદ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો તો મુસ્લિમ આતંકવાદી પકડાય છે ત્યારે તેને દફનાવવામાં કેમ આવે છે, સળગાવતા કેમ નથી? સ્વામી સદાનંદ સરસ્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇસ્લામના ઓઠા હેઠળ આતંકવાદ પેદા કરાય છે. દ્વારકા અને સોમનાથનો દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનથી નજીક છે. અહીં સુરક્ષા કર્મીઓ યોગ્ય સુરક્ષા આપી રહ્યા છે. ભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઈક કામગીરી બિરદાવવા લાયક છે. પાકિસ્તાન ડરી ગયું હોવાથી વાતચીત માટે કહી રહ્યું છે. પરંતુ ભારતે હવે પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી જોઇએ. આજે સમગ્ર દેશ એક છે અને એક થઇને રહેવું જોઇએ. આપણા રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બેઠા છે તે સૌની રક્ષા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આંતકવાદને છાવરી રહેલા પાકિસ્તાનને ભગવાન સદબુદ્ધિ આપે કારણ કે યુદ્ધથી કોઇનું ભલું થવાનું નથી. ખાસ કરીને પાકિસ્તાનનું તો ભલું થવાનું જ નથી. સૈન્યની ત્રણેય પાંખો, સરકાર, લોકો બધા એક થયા છે. પાકિસ્તાનને ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલ યુદ્ધથી અનુભવ થઇ ચૂક્યો છે અને તે જાણે છે આપણે ભારત પર વિજય પ્રાપ્ત નહીં કરી શકે. તેઓનું કામ ભારતને અવ્યવસ્થિત કરવાનું છે, તેનો ઉદ્દેશ વિજય પ્રાપ્ત કરવાનો નથી. પરંતુ ભારતના વિકાસ અને ગતિમાં અવરોધ ઉભો કરવાનું કામ કરે છે. પાકિસ્તાન સાથે વાતચીત કરવાની જરૂર નથી હવે તો તે દંડને લાયક છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને પ્રમાણ જોઇએ છે પરંતુ પોતાના દેશમાં રહેતો આતંકવાદી ખુદ જાહેરમાં કહે છે કે મારા માણસે હુમલો કર્યોછે તો તેનાથી મોટું પ્રમાણ કયુ હોઇ શકે. કેટલીવાર પાકિસ્તાન ખોટું બોલશે? ક્યારેકને ક્યારેક તો ખોટું પકડાય જ જાય છે.  પાકિસ્તાન સાથે અનેકવાર વાતચીત થઇ છે, પણ કોઇ હલ નીકળતો નથી.

પાકિસ્તાનમાં નામનું જ લોકતંત્ર છે. આખો દેશ ત્યાંની આર્મીના કહેવા પ્રમાણે ચાલી રહ્યો છે. આથી ત્યાં જેટલા પણ મંત્રી અને સત્તાધીશો છે, તે સૈન્યના કહેવા પ્રમાણે જ કામ કરે છે. પાકિસ્તાનની આર્મી ક્યારેય ભારત સાથે સારા સંબંધ રાખવા ઇચ્છતી નથી. પાકિસ્તાનની વસતી ૨૦થી ૨૫ કરોડ છે જ્યારે આપણા દેશની વસ્તી ૧૩૦ કરોડ જેટલી છે. તેમજ આપણું સૈન્યબળ પણ તેના કરતા વધારે છે. ત્યાંની સરકાર આયોજીત આતંકવાદ છે. આ સંજોગોમાં હવે ભારતે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઇએ.

(9:40 pm IST)