Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તંગદિલી છતાં અમદાવાદથી જમ્મુ-શ્રીનગર ફલાઇટ શરૂ

કડક સલામતી બાદ ફલાઇટ્સના કાર્યક્રમને અસર : ૨૩ ફલાઇટ્સના નિર્ધારિત કાર્યક્રમ ખોરવાતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો : સેવા સામાન્ય બનાવાઈ

અમદાવાદ,તા.૨૮ : દેશભરમાં સરહદી વિસ્તારોના એરપોર્ટ ગઈકાલે સુરક્ષાએ વ્યવસ્થાના ભાગ રૂપે થોડો સમય બંધ રખાયા બાદ આજે શ્રીનગર,અમૃતસર અને જમ્મુ જતી ફ્લાઈટનો ટ્રાફિક ઘટી ગયો છે. સરહદે તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે પણ આજે બીજા દિવસે શ્રીનગર અને જમ્મુ જતો આવતો એર ટ્રાફિક પૂર્વવત થયો છે. અમદાવાદથી જમ્મુ-શ્રીનગરની ફલાઇટ શરૂ થતાં પેસેન્જર્સે પણ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ, હવામાન અને કડક સિક્યોરિટી વ્યવસ્થા ઇમિગ્રેશનનો સમય સહિતના કારણોને લઈને અમદાવાદ આવતી અને અહીંથી ઉપડતી ૨૩ જેટલી ફ્લાઇટનાં શેડ્યૂલ ખોરવાયાં હતા. જેના કારણે સેંકડો મુસાફરોને થોડી હાલાકીનો સામનો કરવો પડયો હતો. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી સવારના છ વાગ્યાની આસપાસની સ્પાઇસ જેટ, ઈન્ડિગો અને ગો એરલાઈન્સની દિલ્હી જતી ત્રણ ફલાઇટ એક કલાક મોડી પડી હતી. જ્યારે ઈન્ડિગોની હૈદરાબાદ, ઇન્ડિગોની દોહા કતાર એરવેઝની દોહા,અને અમીરાતની દુબઈ જતી ફલાઇટ પણ તેના નિયત સમય કરતાં મોડી પડી હતી. એતિહાદ એરવેઝ સાઉદી એરલાઇન્સ અને જેટ એરવેઝની અબુધાબી જવા માટે ઉપડતી ફલાઇટ પણ મોડી ઉપડી હતી. જ્યારે એર ઇન્ડિયાની શારજાહ અને સ્પાઇસ જેટની ચેન્નઇ જતી ફ્લાઇટ સહિતની તમામ ફલાઈટ્સ એક કલાકથી વધુ સમય માટે મોડી ઉપડતાં પ્રવાસીઓ અટવાયા હતા. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર આવતી દિલ્હી અને બેંગલુરુની ફ્લાઇટ હવામાનના કારણે મોડી પડી હતી. ગો એરની સવારની ૭.૪૦ની અમદાવાદ-દિલ્હી વિસ્તારની બેગલુરુ, સિંગાપોર એરલાઇન્સ અને સિલ્ક એરની બેંગલુરુ જતી ફલાઇટ સવારે મોડી આવી હતી. એતિહાદની અબુધાબી તેમજ સાઉદી એર લાઇન્સ અને જેટ એરવેઝની અબુધાબીથી આવતી ફલાઇટ સહિત સ્પાઇસ જેટની મસ્ક્ત, એર અરેબિયાની શારજાહ અને સ્પાઇસ જેટની બેંગકોકથી આવતી ફલાઇટ એક કલાકથી વધુના સમય માટે  મોડી આવી હતી જે પછી મોડી ઉપડી હતી. આમ, ૨૩ જેટલી ફલાઇટ્સના શીડ્યુલ ખોરવાતાં મુસાફરોને થોડી ઘણી હાલાકીનો સામનો કરવો પડયો હતો.

(8:12 pm IST)