Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે લોકોનાં કરૂણ મોત

ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે : ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ગરબાડા અને દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો

અમદાવાદ , તા.૨૮ : શહેરના નારણપુરામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અમદાવાદમાં ભેખડ ધસી પડતાં ૨ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. શહેરના નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવતા બે ત્રણ લોકો દટાયા હોવાની આશંકા છે. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે બે લોકોના મોત નિપજ્યા છે. 

નારણપુરા અમિકુંજ ચાર રસ્તા પાસે જીવન વિકાસ ચોક સામે ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા બે-ત્રણ મજૂરો દટાયા હોવાની આશંકા હતી, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે.

એક મજૂરને બહાર કાઢવામાં આવ્યો છે. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. બીજી બાજુ આ ઘટનામાં ભોગ બનેલા બન્ને ૪૫ વર્ષીય પ્રેમાભાઈ અને અન્ય એક ૨૫ વર્ષીય યુવકનું કરૂણ મોત થયું છે. ફાયર વિભાગને ૧૦ વાગ્યા બાગ આ ઘટનાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ગરબાડા અને દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો. ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

(9:13 pm IST)