News of Thursday, 28th January 2021
નવી દિલ્હી તા. ર૮:.. રાજયમાં સ્થાનિક સ્વરાજયની મહત્વની ચૂંટણીઓની જાહેરાત થઇ ગઇ છે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારો અને કોરોના કાળમાં માસ્ક નહીં પહેરવા બદલ લેવાતો એક હજાર રૂપિયાના જંગી દંડનો મુદ્ે ભાજપને ભારે પડી શકે છે. મધ્યમ વર્ગની આવકને ભારે ફટકો પડયો છે અને મોટી સંખ્યામાં નોકરીઓ ગઇ છે ત્યારે સતત વધતા ઇંધણના ભાવના કારણે લોકોમાં નારાજગી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. તો માસ્ક ન હોય તો એક હજાર રૂપિયાનો દંડ પણ મોટાપાયે વસુલાતા જે રીતે મહિલા વર્ગ સહિત નાગરીકો પોલીસ ઉપર હૂમલો કરવા સુધીની સ્થિતિએ પહોંચે છે તેનો રોષ ભાજપ સામે પણ ઉતરી શકે તેમ પક્ષના કાર્યકરોના એક વર્ગમાં પણ ચર્ચાઇ રહ્યું છે.
કોરોના ફેલાય નહીં તે માટે માસ્ક હોવું જરૂરી છે, પરંતુ અન્ય રાજયો કરતા ગુજરાતમાં જે રીતે વધુ રકમની દંડ પેટે વસુલાત થઇ રહી છે તેના કારણે લોકોમાં ગણગણાટ થઇ રહ્યો છે. ગુજરાતમાં એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. તો મહારાષ્ટ્ર-મુંબઇ અને રાજસ્થાનમાં ફકત ર૦૦ રૂપિયાનો દંડ વસુલાય છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતનાં મહાનગરોમાં તો જાણે માસ્ક નહીં પહેરવા બદલ આટલા કેસ કરવા તેવો ટાર્ર્ગેટ અપાયો હોય તેમ લોકોને પકડવામાં આવે છે. એક દિવસના પપ લાખથી એક કરોડ રૂપિયા સુધીની વસુલાત થઇ હોય તેવા પણ દાખલા છે. કોઇ સામાન્ય વ્યકિત કે ગૃહિણી ટુ વ્હીલર પર નીકળ્યા હોય અને માસ્ક નીચે ઉતરી ગયો હોયતો પણ એક હજાર રૂપિયાના દંડની માગણી કરાય છે.તો દુકાનોમાં ઘુસીને પણ અનેક સ્થળે દંડની વસુલાત થાય છે. જે હવે લોકો ભરવા તૈયાર થતા નથી અને પોલીસને ભાજપ કે કોંગ્રેસના કેટલા નેતાઓ સામે કે પક્ષના કાર્યાલયોમાં માસ્ક નહીં પહેરવા બદલ કેટલો દંડ વસુલ્યો તેવો સામે સવાલ કરતા થઇ ગયા છે. એટલું જ નહીં., અનેક સ્થળે સંખ્યાબંધ લોકો દંડ નહીં ભરવા બાબતે પોલીસ સાથે મારામારી કરતા ખચકાઇ રહ્યા નથી. મહિલ ાવર્ગ પણ પોલીસ અટકાવે તો દંડ નહીં ભરવા જે રીતે સંઘર્ષ કરે છે તેનું એક કારણ તેમની ખરાબ આર્થિક સ્થિતિ પણ હોય છે. આગામી સમયમાં શાળાઓના વધુ વર્ગો શરૂ થઇ રહ્યા છે ત્યારે આ મામલે વધુ સંઘર્ષ થાય તેવા એંધાણ છે. તેવી જ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજરોજ વધારાના કારણે વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચલાવતા મધ્યમ વર્ગને તેની મહત્તમ અસર થવા પામી છે. ઇંધણના ભાવથી ઘરના બજેટ પણ વધી રહ્યાં છે. જો વિપક્ષ દ્વારા આ મુદ્ે મોટાપાયે ચગાવવામાં આવશે તો મહાનગરોમાં બંને મુદાઓને લઇને ભાજપને અસર થશે તેવી ચિંતા પણ કાર્યકરોનો એક વર્ગ કરી રહ્યો છે. ભાજપના કાર્યકરોમાં આ બંને મુદે રાજય સરકાર થોડી-ઘણી રાહત આપે તેવી પણ ચર્ચા શરૂ થવા પામી છે. (નવગુજરાતમાંથી સાભાર)