Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાજપીપળા પાલિકાના ખોખલા વહીવટથી ખુદ ભાજપના સભ્યો તોબા પોકારી ઉઠ્યા: માજી પ્રમુખે આપી રાજીનામાની ચીમકી

અમારા વોર્ડમાં વિકાસના કામો થતા નથી તો પાલિકા સભ્યપદે રહીને શુ કામ છે, મેં અનેક વખત રજુઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી:સંદીપ દશાંદી, માજી પ્રમુખ રાજપીપળા નગરપાલિકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમત મળ્યો છે. રાજપીપળાના શહેરીજનોએ વિકાસ થશે એ આશાએ ભાજપને સત્તા આપી પણ છેલ્લા ઘણા સમયથી અનેક તકલીફો વેઠી રહેલા શહેરીજનો ભાજપના વહીવટથી કંટાળ્યા હોવાની બુમો ઉઠી છે.ત્યારે હવે તો ખુદ ભાજપના ચૂંટાયેલા સભ્ય અને રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદીએ પાલિકા વહીવટથી કંટાળી સભ્યપદેથી રાજીનામાની લેખિત ચીમકી આપી છે.આ જોતા રાજપીપળા પાલિકા માં વિકાસના કામો નહિ થતા હોવાની પોલ ખુદ ભાજપના જ સભ્યએ ખુલ્લી પાડી છે.

   આ બાબતે રાજપીપળા પાલિકા વોર્ડ-4ના સભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદીએ જણાવ્યું હતું કે મારા વોર્ડમાં વિકાસના કામો થતા નથી લોકોની નાની મોટી ફરિયાદોનો નિકાલ પણ થતો નથી.મેં ઘણી રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન નથી આપતું. મારા વોર્ડના લોકો મને ફરિયાદ કરવા આવે છે.જો વોર્ડમાં વિકાસના કામો જ ન થતા હોય તો મારે સભ્યપદે રહીને શુ કામ છે,જો વિકાસના કામો બાબતે યોગ્ય નિર્ણય ન લેવાય તો હું રાજીનામું આપી દઈશ.મેં મારી લેખિત ફરિયાદ રાજપીપળા પાલિકા પ્રમુખ,નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ભાજપ પ્રમુખને કરી છે.

   આ બાબતે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પાલિકા વોર્ડ-4 ના ભાજપ સભ્ય સંદીપ દશાંદીએ મને પોતાની રજુઆત લેખિતમાં કરી છે અને જો વિકાસના કામો નહિ થાય તો રાજીનામાનો પણ એમાં ઉલ્લેખ કર્યો છે.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તો ભાજપના એક જ સભ્યએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે, હજુ તો ઘણા સભ્યો વહીવટીથી નારાજ છે, ત્યારે આગામી સમયમાં ભાજપના અન્ય સભ્યો પણ પોતાના રાજીનામાં આપશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

 બીજી બાજુ તાજેતરમાં જ રાજપીપળા પાલિકામાં કરોડો રૂપિયાની બીજી ગ્રાન્ટ આવી છે તો એ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય એ પણ જરૂરી છે.

(7:55 pm IST)