Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અમે મદ્રેસાના અભ્યાસક્રમ પર નજર રાખીશુ, વકફ બોર્ડ માટે પણ સેલ બનાવવામાં આવશેઃ સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીઍ સંકલ્પ પત્ર વિશે માહિતી આપી

હિંસક વિરોધ, અશાંતિ વગેરે તથા અસામાજિક તત્ત્વો દ્વારા જે જાહેર સંપત્તિને નુકશાન પહોîચાડશે તેની પાસેથી વસુલ કરાશે તેવો કાયદો ઘડવામાં આવશે

સુરતઃ ગુજરાતમાં હવે મતદાનને આડે ગણતરીના દિવસો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે આગામી પાંચ વર્ષને લઈને અનેક મોટા વચનો જનતાને આપ્યા છે. ભાજપના આ સંકલ્પ પત્રમાં હિન્દુત્વનો એજન્ડા પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપની ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંકલ્પ પત્ર અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અમે મદ્રેસાના અભ્યાસક્રમ પર નજર રાખીશું. તેમણે કહ્યું કે, વક્ફ બોર્ડ માટે પણ સેલ બનાવવામાં આવશે. 

ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણીને લઈને પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. જેમાં હિન્દુત્વની ઝલક જોવા મળી રહી છે. ભાજપે યુનિફોર્મ સિવિલ કોડને પણ પોતાના સંકલ્પ પત્રમાં સામેલ કર્યો છે. ભાજપે રાજ્યમાં વિરોધ કરનાર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી છે. તો એન્ટિ રેડિકલાઇઝેશન સેલની રચના કરાશે, જે દેશવિરોધી તત્વોની ઓળખ કરશે.

આ સિવાય હિંસક વિરોધ, અશાંતિ વગેરે તથા અસામાજિક તત્વો દ્વારા જે જાહેર સંપતિને નુકસાન પહોંચાડશે તેની પાસેથી નુકસાની વસૂલ કરાશે તેવો કાયદો લાવવામાં આવશે. પોલીસના આધુનિકિકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત પણ ભાજપે સંકલ્પ પત્રમાં કરી છે. તો રાજ્યમાં જે વિરોધ દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડશે તેની પાસે તેના પૈસા વસૂલ કરવામાં આવશે. 

હર્ષ સંઘવીએ કહ્યુ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેસોની સંખ્યા ઓછી કરીશું. તેમણે કહ્યું કે કોમર્શિયલ કોર્ટની જરૂર છે. તો આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે 2036માં ઓલિમ્પિકની યજમાની લેવા માટે ઓલિમ્પિક મીશન શરૂ કરીશું. તો રાજ્ય સરકારની તમામ જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને એક સીટ પણ મળશે નહીં. 

(11:08 am IST)