Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વડોદરામાં કાચબા ઉપર તાંત્રિકવિધી કરવાથી રૂપિયાનો વરસાદ વરસશે અને આવક બમણી થવાની લાલચ આપનાર પુજારી સહિતના શખ્‍સોની ધરપકડ

7 કાચબા ભેગા રીને વિધી કરાઇ હતીઃ છટકુ ગોઠવીને ઝડપી લેવાયા

વડોદરા: મીઠા પાણીના કાચબા પર તાંત્રીક વિધી કરવાથી રૂપિયાનો વરસાદ થશે તેમજ આવક બમણી થઈ જશે તેવી લાલચ સાથે પૂજા કરાવનાર અને કાચબા લાવનાર શખ્સોની કાચબા સાથે ધરપકડ કરવામા આવી છે. લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે કહેવત ફરી સાર્થક થતી હોય તેવી ધટના વડોદરામાં પ્રકાશમા આવી છે. અટલાદરાના અક્ષરદિપ રેસિડેન્સીમા રહેતા ચેતન પટેલને પાદરામા રહેતા રણજીત પરમાર અને પ્રદિપ પરમારનો સંપર્ક થયો હતો. આ ટોળકીએ ચેતન પટેલને લાલચ આપી હતી કે, મીઠા પાણીના કાચબાની તાંત્રીક વિધી કરવામા આવે તો ધરમા રુપીયાનો વરસાદ થશે અને આવક બમણી થઈ જશે. આ વાતમાં ચેતન પટેલ આવી ગયા હતા અને  રણજીત અને પ્રદિપ પાસે ચાર કાચબા હતા અને આણંદ અડાસ ગામમા રહેતા ગોરધન રાવળ પાસે ત્રણ કાચબા હતા. તે લાવી તાત્રીક વિધી કરવાની લાલચ આપી હતી. ચેતન પટેલના ત્યાં 7 કાચબા ભેગા કર્યા હતા.

તાંત્રીક વિધી કરાવી માલામલ થવાની લાલચમા ચેતન પટેલે પોતાના ઘરે કાચબા રાખ્યા હતા. તાંત્રીકની શોધખોળમા રણજીત અને પ્રદિપ તેમજ ગોરધન રાવળ નિકળ્યા હતા. જાબુધોડા વન વિભાગના અધિકારીઓ જી.એસ.પી.સી.એ સંસ્થાના કાર્યકરએ બોગસ તાંત્રિક બની છટકું ગોઠવી ડમી તાંત્રિક મોકલી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. 7 કાચબા સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી.

એક ખેડૂતને ધનવાન બનાવવાની લાલચ આપીને કાચબા પર તાંત્રીક વિધી કરી તેની સાથે છેતરપીંડીની ફિરાકમા રહેલા ત્રણ આરોપીઓ તો પકડાઈ ગયા સાથે જ ભાગ્ય ચમકાવવા જતા કાચબા ઘરમા રાખવાના ગુનામા ચેતન પટેલને પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે લોકો આવી અંધશ્રદ્ધાથી દુર રહે તે તેમના માટે જ હિતાવહ છે.

ઝડપાયેલા આરોપીઓ...

(1) ચેતન ઠાકોરભાઈ પટેલ (વિધી કરાવવાની લાલચમા આવનાર ગ્રાહક)

(2) રણજીત પરમાર ( લાલચ આપનાર ,પાદરા)

(3) પ્રદિપ પરમાર (લાલચ આપનાર ,પાદરા)

(4) ગોરધન રાવળ (ત્રણ કાચબા લાવનાર ,અડાસ ગામ ,આણંદ)

(5:34 pm IST)