Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કોરોના ગયો નથી, ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ મળતાં તંત્ર દોડતું થયું : આરોગ્ય અગ્રસચિવે કપ્પા-ડેલ્ટા વેરિયન્ટના ગુજરાતમાં મળવા અંગે વિગતો જાહેર કરતા લોકોને સચેત રહેવા કહ્યું

 

ગાંધીનગર, તા.૨૬ : આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે આજે કપ્પા વેરિયન્ટ અને ડેલ્ટાવેરિયન્ટ ગુજરાતમાં મળવા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જો કે તેમણે કહ્યું કે, ડેલ્ટા વાયરસ જરૂર ગુજરાતમાં મળ્યો છે આ અંગે તકેદારી રાખવામાં આવી છે. પરંતુ કપ્પા વેરિયન્ટ હાલ આઇસીએમઆર માટે પણ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કપ્પા વેરિયન્ટ હાલ સુધી ઘાતક હોવાનું સાબિત થયું નથી. તેમ છતા પણ આ વેરિયન્ટ જ્યાંથી મળી આવ્યો હોય ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ સજ્જડ રીતે કરવામાં આવી રહ્યું છે.

જો કે હું નમ્ર અપીલ કરૂ છું કે, કોરોના હજી ગયો નથી, નાગરિકો કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, માસ્ક, હાથ ધોવા વગેરે બાબતોની ખાસ કાળજી રાખવી. જો આ નિયમો પાળીશું તો કોરોનાની ચેઇન તુટી શકશે. બીએસએફના જવાનો પોઝિટિવ આવ્યા હતા તેમનું જીનોમ સિકવન્સ માટે મોકલી આપ્યા છે. તેમનામાંથી ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે. તેમના પર તંત્રની પુરી નજર છે. તેમને એક જ સ્થળે ક્વોરન્ટાઇન કરી દેવાયા છે.

વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં રેગિંગનો કેસ સામે આવ્યો તે અંગે તેમણે જણાવ્યું કે, રેગિંગ પ્રતિબંધિત પ્રવૃતી છે. જેથી રેગિંગ કરનારાઓ વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે. આ પ્રકારની રેગિંગ યોગ્ય નથી. તેમની વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કપ્પા વેરિયન્ટ અંગે હાલ સરકાર તો ખુબ જ સતર્ક છે પરંતુ નાગરિકોએ પણ સતર્ક રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોરોના ના નવા આવેલા વેરિયન્ટ પર આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, કોવિડ ૧૯ ના કોવિડ ના વેરિયન્ટ ક્યાં અને કેટલા ઘાતક છે તે ડબલ્યુએચઓ અને આઈસીએમઆર નક્કી કરે છે. વાયરસ કેટલો ઝડપી ફેલાય છે તે નક્કી કરી રાજ્યોને જણાવાય છે. ચાર પ્રકાર ના વાયરસ જોવા મળે છે. જેનેટિક ફેરફાર થયા હોય તેવા વેરિયન્ટ જોવા મળે છે. અગાઉ ના વાયરસ કરતા ડેલ્ટા ઝડપી ફેલાય છે. રાજ્યમાં કેટલાક કેસો ડેલ્ટા ના મળ્યા છે.

કપ્પા વેરિયન્ટ હજુ ઘાતક સાબિત થયો નથી. ડેલ્ટા માં ફેરફાર થતા કપ્પા વાયરસ મળ્યો છે. રાજ્ય સરકારે આ બાબતની કાળજી રાખી છે. જે કેસો મળે છે તેના સેમ્પલ લેવાય છે અને તેની તપાસ થાય છે. કપ્પા વેરિયન્ટના જૂજ કેસ મળ્યા છે અને કોન્ટેકટ ટ્રેસિંગ થઈ રહ્યું છે. કપ્પા વેરિયન્ટના કેસમાં દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. કોવિડ હજુ ગયો નથી તમામ પગલાં લેવાઈ રહ્યા છે. બનાસકાંઠાના બીએસએફ ના જવાનો નાગાલેંડથી આવ્યા હતા. તેમના જીનોમ સિક્વંસ મોકલાયા હતા. ડેલ્ટા વેરીએન્ટ એમા મળ્યો છે.

(8:53 pm IST)