Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગ્રામસેવક વિનાનું ગામ એ ભાજપ સરકારની ઓળખ

મનીષ દોશીના ભાજપ પર પ્રહાર : સરકાર ખેતી-ખેડૂતનાં માળખાને તોડી નાખ્યા બાદ કૃષિ અભ્યાસક્રમનાં સરકારી માળખાને તોડી નાખવા માંગે

અમદાવાદ,તા.૨૬ : ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વિવિધ સરકારી ભરતીઓમાં મોટાપાયે કૌભાંડ જેના પરિણામે મોઘાં શિક્ષણ પછી પણ ગુજરાતનાં યુવાનોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે કૃષિ સ્નાતકો, ગ્રામ સેવક, લોકરક્ષક દળ, ટેટ-ટાટ, જીપીએસસી, આઈટીઆઈ ઇન્સસ્ટ્રકટર સહીતની ભરતીમાં ગુજરાતનાં યુવાનોમાં આક્રોશ, અજંપા છતાં ભાજપ સરકાર પોતાનું ભ્રષ્ટાચારી વલણ બદલતી નથી. ત્યારે ગુજરાતમાં સરકારી કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરીને સ્નાતકો થયેલા યુવાનોને કૃષિ વિભાગમાં અને ગ્રામસેવકો તરીકે ભરતી થાય અને સરકારી કૃષિ યુનિવર્સીટીઓનું માળખું ટકી રહે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવકતા, શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાર સરકારી કૃષિ યુનિવર્સીટીઓ દાંતીવાડા, આણંદ, નવસારી, જુનાગઢ જે સમગ્ર દેશમાં કૃષિ શ્રેત્ર સશોધન માટે ગણનાપાત્ર યોગદાન આપી રહી છે છે.

              કોંગ્રેસનાં શાસનમાં સ્થપાયેલી આ ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીઓને ભાજપ સરકારે અન્ય સરકારી યુનીવર્સીટીઓની જેમ જ માળખાને તોડી નાખવા ખાનગી યુનીવર્સીટી જેવી કે પારુલ યુનીવર્સીટી, આરકે યુનીવર્સીટી રાતોરાત બીએસીસી કૃષિ અભ્યાસક્રમ ચલાવવાની મજુરી આપી દીધી. પારુલ યુની.,રાય યુની.,આરકે યુની. ખાનગી યુનીવર્સીટી મંજુરી વગર ઉંચી ફી લઈને કૃષિ અભ્યાસક્રમ ગેરકાયદે ચલાવ્યો. આ માન્યતા વગરના અભ્યાક્રમથી યુવાનોની કારકિર્દી સાથે ચેડા થયા. ખાનગી યુનીવર્સીટીના વિધાર્થીઓ પદવીને માન્યતા માટે એ નામદાર વડી અદાલતમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ આ યુનીવર્સીટીનો અભ્યાસક્રમ મંજુરી વગર ચલાવતા હતા એ રજુ થયું. મંજુરી વગરના, અમાન્ય અભ્યાસક્રમો સામે નામદાર વડી અદાલતમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ સરકારે પોતે એફેડેવીટ આપી. જે છેલ્લા ત્રણ વર્ષથી સરકાર જેને અમાન્ય ગણતી હતી તે કૃષિ અભ્યાસક્રમને રાતોરાત સરકારે મંજુરી આપી દીધી એટલુ જ નહિ પરતું લોકડાઉનમાં સરકારે અમાન્ય અભ્યાસક્રમનાં ઉચી ફિ ભરેલ અને વગ ધરાવતા સંચાલકોના દબાણથી જૂની તારીખનાં વિધાર્થીઓના પ્રવેશને માન્ય કરી દીધો. રાતોરાત ખાનગી યુનીવર્સીટીને ૨૦૨૦-૨૧માં બીએસીસી કૃષિ અભ્યાસક્રમ મજુરી આપે તે દેખાડે છે કે ભાજપ સરકાર ગુજરાતની ખેતી અને ખેડૂતનાં માળખાને તોડી નાખ્યા બાદ કૃષિ અભ્યાસક્રમનાં સરકારી માળખાને તોડી નાખવા માંગે છે. ગુજરાતનાં કૃષિ શ્રેત્રેને મજબૂતી આપવા અને ખેડૂતોને શોધ સંશોધનથી સારા બિયારણ અને ખેતીનું મર્ગદર્શન મળે તે માટે રાજ્યની ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીની સ્થાપના કોગ્રેસનાં શાસનમાં કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોનાં વિકાસ માટે કામ કરતા ગ્રામસેવકોની આગવી જવાબદારી હોય છે ત્યારે ભાજપ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રામ સેવકની ભરતીમાં પણ મોટા પાયે ગેરરીતી આચરવામાં આવી હતી.

              ગુજરાત રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં ભરતી માટે જુદા જુદા નિયમો લાગુ કરી શૈક્ષણિક લાયકાત વગરનાં ગ્રામસેવકોને ભરતી કરવામાં આવી હોય તે પુરાવા સાથે સામે આવ્યું હતું. ડીપ્લોમાં એગ્રીકલ્ચર કે બીઆરએસની લાયકાત સિવાયનાં ઉમેદવારોને ભરતી કરી ગેરરીતી આચરવામાં આવી હતી. તેના લીધે મૂળ હક્કદાર અને યોગ્ય ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. સરકાર દ્વારા વિધાનસભા બજેટ સત્રમાં ૨૭૭૧ જેટલી ગ્રામસેવકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને ત્રણ વર્ષ વીત્યા છતાં ભરતી પ્રક્રિયા કરવામાં ન આવે તે જ દર્શાવે છે કે ગુજરાતનાં યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં ભાજપ સરકાર ઉદાસીન છે અને ક્યાંક જો ભરતી થાય તો પણ તેમાં મોટાપાયે ગેરરીતી આચરીને મળતિયા ઉમેદવારોને ભરતી કરવાની નીતિરીતીથી ગુજરાતનો લાયકાત યુવાન નોકરીની તકોથી વંચિત થયો છે. શિક્ષક વગરની શાળા, ડોક્ટર વગરનું દવાખાનું, ગ્રામસેવક વિનાનું ગામ એ ભાજપ સરકારની ઓળખ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ માંગ કરી હતી કે સત્વરે કૃષિ સ્નાતકોની ગ્રામસેવકો સહીતની ભરતીમાં થયેલ ગેરરીતીને દુર કરવામાં આવે, વર્ષ ૨૦૧૬-૧૭નાં વેઈટીંગ લીસ્ટને ઓપેરેટ કરવામાં આવે, બજેટમાં જાહેર કરેલી ગ્રામસેવકોની ભરતીને તાત્કાલિક અસરથી શરુ કરવામાં આવે જેથી ગુજરાતના કૃષિ શ્રેત્રે ઉત્કૃષ્ઠ અભ્યાસ કરેલા યુવાનોને ન્યાય અને નોકરીની તકો મળે.

(9:52 pm IST)