Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ચાલતો દિન દયાલ સ્ટોર 15 દિવસથી બંધ : દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ચાલતા દિન દયાલ સ્ટોરને પંદર દિવસથી તાળા લાગતા દર્દીઓ બહારથી મોંઘી દવા લેવા લાચાર બન્યા છે.
સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખુલ્લા મુકાયાયેલા દીનદયાળ સ્ટોરમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે દર્દીઓને દવા મળતી હોય છે પરંતુ યોગ્ય આયોજન ના અભાવે અથવા અન્ય કોઈક કારણોસર હાલમાં રાજપીપળા સિવિલનો આ સ્ટોર પંદર દિવસથી બંધ રહેતા દર્દીઓ વિલા મોઢે ત્યાંથી પરત જાય છે ત્યારે નર્મદા જિલ્લાના ગરીબ દર્દીઓ ન છૂટકે મોંઘી દવા લેવા મજબૂર થયા છે
જોકે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ સ્ટોરમાં કામ કરતા કર્મચારી લાંબી રજા ઉપર જતા કોઈ અન્ય કર્મચારીને ત્યાં ન મૂકાતા સ્ટોર બંધ રાખવાની નોબત આવી છે ત્યારે જિલ્લાના વડા મથક અને વડી સરકારી હોસ્પિટલ માં કાર્યરત સ્ટોર નું સંચાલન યોગ્ય થાય તે જરૂરી જણાઈ છે.જોકે સ્ટોરનું સંચાલન કરતા અરવિંદભાઈ એ જણાવ્યું કે હા કર્મચારી રજા પર છે અને મારી પાસે સ્પેર કર્મચારી નથી માટે સ્ટોર બંધ છે પરંતુ બે ચાર દિવસમાં કર્મચારી હાજર થશે એટલે સ્ટોર ખુલ્લો કરશે.

(10:46 pm IST)