Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પેટલાદ તાલુકાના ધર્મજમાં ટેલરપુરા પાટિયા નજીક ભજીયાની લારીને નુકશાન પહોંચાડવા બાબતે બે પરિવારો બાખડ્યા:સામસામે હુમલામાં 6 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત:પોલીસ ફરિયાદ

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ તાબે આવેલ ટેલરપુરા પાટીયા નજીક ભજીયાની લારીને નુકસાન પહોંચાડવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલ મારામારીમાં વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચવા પામી હતી. બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ પેટલાદ તાલુકાના ધર્મજ ગામની સીમમાં આવેલ ટેલરપુરા પાટીયા પાસે રહેતા ગોપાલભાઈ જેરાભાઈ ઠાકોર ટેલરપુરા પાટીયા ખાતે ભજીયાની લારી ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની ભજીયાની લારીને કોઈએ નુકસાન પહોંચાડયું હોવાની માહિતી તેઓને મળતા અગાઉ સ્થળે જગદીશભાઈ ઠાકોર સાથે શાકભાજીની લારી મુકવા બાબતે તેઓને તકરાર ચાલતી હોઈ જગદીશભાઈએ લારીને નુકસાન પહોંચાડયું છે કે કેમ તે માટે ગોપાલભાઈ ઠાકોર તેઓને પુછવા માટે જગદીશભાઈને ઘરે ગયા હતા. જો કે અંગે જગદીશભાઈને પુછતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ અપશબ્દો બોલી અમે બધાનું ધ્યાન રાખતા નથી તેમ જણાવી ઘર નજીકથી પંજેઠી લઈ આવી મુકેશભાઈને મોઢાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. દરમ્યાન જગદીશભાઈનું ઉપરાણું લઈને રમણભાઈ ઠાકોર ત્યાં આવી ચઢ્યા હતા અને તેઓએ પણ ગોપાલભાઈને ઈજાઓ પહોંચાડી હતી. દરમ્યાન જગદીશભાઈએ ગોપાલભાઈના ટુવ્હીલરને નીચે પાડી દઈ આગચંપી કરી દીધી હતી. બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગોપાલભાઈ જેરાભાઈ ઠાકોરની ફરિયાદના આધારે જગદીશભાઈ રમણભાઈ ઠાકોર અને રમણભાઈ ઠાકોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:48 pm IST)