Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સમૂહલગ્ન આજના સમયની જરૂરિયાત છે :મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત

ગાંધીનગરમાં સમુહલગ્નમાં રૂપાણી ઉપસ્થિત : કુંવરબાઈનું મામેરુ યોજનામાં દંપત્તિને ૨૦૦૦ની મદદ

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સમૂહલગ્નોત્સવ એ આજના સમયની આવશ્યકતા છે, આવા લગ્નોત્સવોથી સમાજના આર્થિક સક્ષમ ન હોય તેવા પરિવારો પણ પોતાના દિકરા-દિકરીના લગ્ન આનંદ સાથે ધામધૂમથી કરી શકે છે. વિજય રૂપાણી ગાંધીનગરમાં ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ આયોજિત ૧૮માં સમૂહલગ્નોત્સવમાં નવ વિવાહિત દંપતિઓને આશીર્વાદ આપતાં સંબોધી રહ્યા હતા. લગ્ન એટલે પતિ-પત્નીનું મિલન જ નહિ પણ બે પરિવારનો મિલન છે, તેમ કહી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની બન્નેએ એકબીજાના મા-બાપ અને સગાવ્હાલાઓનો આદર કરવો જોઇએ.સમૂહલગ્નોત્સવ થકી સમાજની એકતા અને એક બીજા પ્રત્યે લાગણીનો ભાવ સમાજમાં પ્રસરે છે. આર્થિક ભીડ અનુભવતાં પરિવાર પણ પોતાની દીકરીના લગ્ન સમાજની સમક્ષ ઉત્સાહભેર કરી શકે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રાજય સરકારની કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત દરેક દંપતીને રૂપિયા બે હજારની રકમની સહાય આપવામાં આવી હતી. સેનવા- રાવત સમાજના ૨૫ નવદંપતિઓને સુખી લગ્નજીવનની અંતઃપૂર્વક શુભેચ્છા પાઠવી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ જતું કરવાની ભાવના રાખવી ખૂબ જરૂરી છે. આ ભાવનાથી જ સંયુક્ત કુટુંબમાં પણ નવદંપતિઓ સુખી જીવન જીવી શકે છે તેમજ પતિએ પત્નીને સાચા હદયથી પ્રેમ જીવનભર કરવો જોઇએ. તેમજ પત્નીએ પણ પતિનો સમગ્ર જીવન દરમ્યાન આદર કરવો જોઇએ. સાતફેરા કેમ ફેરવામાં આવે છે, તેની પણ દષ્ટાંતપૂર્વક વાત કરીને સાતફેરાનું મહત્વ લોકોને પોતાની આગવી શૈલીમાં સમજવ્યું હતું.

(9:29 pm IST)