Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આંકલાવના નારપુરામાં યુવતીને ભગાડી જવાના સહકારનો વહેમ રાખી ઈસમને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

આંકલાવ: તાલુકાના નારપુરા ગામે યુવતીને ભગાડી જવામાં સહકાર આપ્યાનો વહેમ રાખીને મહિલાના ઘર ઉપર સાત શખ્સોએ લાકડીઓ અને ડંડા વડે હુમલો કરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી જયાબેન વિજયભાઈ મકવાણા નારપુરા ગામની પ્રાથમિક શાળા પાસે રહે છે. દિપીકા નામની એક યુવતીને ગામનો જ જયેશભાઈ સોલંકી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. જેથી ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે યુવતીના પરિવારજનો મણીભાઈ રમણભાઈ પરમાર, મહેશભાઈ ભાઈલાલભાઈ પરમાર, અરવિંદભાઈ રમણભાઈ પરમાર, રંગીતભાઈ અમરસિંહ પરમાર, સંજયભાઈ અરવિંદભાઈ પરમાર, મીલનભાઈ જશભાઈ પરમાર, મહેશભાઈ ગેંદાલભાઈ પરમાર, કપિલાબેન અરવિંદભાઈ પરમાર અને સુમનબેન મણીભાઈ પરમાર લાકડીઓ અને ડંડા લઈને જયાબેનને ઘરે આવ્યા હતા અને તેણીએ સહકાર આપ્યો હોવાનો વહેમ રાખીને માર માર્યો હતો. ઘરના સભ્યો વચ્ચે પડતાં તેમને પણ માર મારીને લોહીલુહાણ કરી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. 

ઘવાયેલા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આંકલાવ પોલીસે સાતેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:57 pm IST)