Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બહુચરાજીના ડોડીવાળા નજીક કારનેં અકસ્માત નડતા એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટતા અરેરાટી

ચાણસ્મા:બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામનો યુવક તેની બહેન, ભાણી અને મિત્ર સાથે ભાવનગરથી વતન આવી રહ્યો હતો ત્યારે ભાવનગર- ધોલેરા હાઈવે પર તેમની કાર સાથે સામેથી આવતી ઈનોવા ગાડી ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ભાઈ, બહેન અને ભાણી તેમજ તેના મિત્ર સહિત ચારેય જણાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનાની જાણ ડોડીવાડા ગામે થતાં આખા ગામમાં શોક છવાઈ ગયો હતો.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ડોડીવાડા ગામના નિરજ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ (ઉ.૩૦) ભાવનગર ખાતે નિરમામાં નોકરી કરે છે. તાજેતરમાં વેકેશન પડતાં નિરજની બહેન અસ્મિતાબેન ભાવિકકુમાર પટેલ (ઉ.વ. ૨૮), રહે. ફિંચાલ, તા. ચાણસ્મા, અને તેમની ભાણી આરવી ઉ.વ. ૬, ભાવનગર આવ્યા હતા. રવિવારે સવારે બહેન અને ભાણીને ડોડીવાડા મુકવા નિરજ પટેલ તેના મિત્ર સાથે લઈને નીકળ્યા હતા. તેઓ ભાવનગર ધોલેરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પીંપળી ગામ નજીક સામેથી આવતી ઈનોવા ગાડી એકદમ અથડાઈ પડી હતી. જેમાં કારના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય ભાઈ-બહેન, ભાણી તેમજ નિરજના  મિત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકોનું નજીકની હોસ્પિટલમાં પીએમ કરાયું હતું.

(5:55 pm IST)