Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમદાવાદમાં ઉછીના પૈસા પરત માંગતા યુવક ઉપર ૩ શખ્સોનો જીવલેણ હૂમલોઃ યુવકનો હાથ કોણીઍથી કપાઇ જતા લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલે દોડ્યો

અમદાવાદ: શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખોખરામાં ઉછીના પૈસા આપેલા પૈસા યુવકે પરત માંગતા ત્રણ વ્યક્તિઓએ તેના પર તલવાર વડે હૂમલો કર્યો હતો. જેમાં યુવકનો હાથ કોણી સુધી કપાઇ ગઇ હતી. હુમલા બાદ ત્રણેય વ્યક્તિ પલાયન થઇ ગયા હતા. જેના પગલે લોહી લુહાણ સ્થિતીમાં યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા પોલીસે ત્રણ વ્યક્તિ સામે હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઇ ગયા હતા.

મુળ ઉત્તરપ્રદેશનો શુભમ મિશ્રા ખોખરા અનુપમ સિનેમા નજીક પરિવાર સાથે રહે છે. મહેમદાબાદ કોલેજમાં આઇટીનો અભ્યાસ કરે છે. તેના જ વિસ્તારમાં રહેતા ઘનશ્યામ અમરનાથ મોર્યને એક વર્ષ પહેલા 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેનો વાયદો વિતતા પણ ઘનશ્યામ પૈસા પરત નહોતો આપી રહ્યો. જેના કારણે 24 તારીખે શુભમ પોતાનાં ઘર પાસે આવેલા એક મંદિરમાં ઉભો હતો. દરમિયાન ઘનશ્યામ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.

શુભમે તેને અટકાવીને પૈસાની ઉઘરાણી કરી હતી. મારે હાલ પૈસાની ખુબ જ જરૂર છે. મારા નાણા પરત આપે તો સારુ તેમ કહેતા ઘનશ્યામે જણાવ્યું કે,તુ મને રસ્તા વચ્ચે ઉભો રાખી પૈસા કેમ માંગે છે. મારી આબરુ છે તેમ કહીને તેને ગાળો આપી હતી. જેથી શુભમે પૈસા આપી દે અપશબ્દો ન બોલીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા ઘનશ્યામે તેના બે મિત્રો લાલુ અને સુમિત ત્યાં આવ્યા હતા.

ઘનશ્યામ અને લાલુ હાથમાં તલવાર લઇને આવ્યો હતો. શુભમ પર હુમલો કર્યો હતો. ઘનશ્યામે તલવારનો ઘા મારી દીધો હતો. શુભમે હાથ નાખતા ઘા હાથ પર વાગતા ડાબા હાથની કોણી સુધી હાથ કપાયો હતો અને લટકી ગયો હતો. બીજા લોકોએ પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમયે શુભમ લોહીથી લથબથ નીચે પટકાયો હતો. બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા. ત્રણેય હુમલાખોરો પલાયન થઇ ગયા હતા.

બીજી તરફ લોહીલુહાણ હાલતમાં શુભમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ અંગે શુભમે ઘનશ્યામ મોર્ય, લાલુ મોર્ય અને સુમિત રાજપુત સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

(5:24 pm IST)