Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચારઃ આગામી ૧૦ થી ૧૫ દિવસમાં કોરોના ઉપર લગામ આવી જવાના તજજ્ઞોને આશા

અમદાવાદ: કોરોનાના સુનામી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી 10-15 દિવસમાં લગામ લાગે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે. જો આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ ટળી જશે.

અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી રહેલા કેસો વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે કહ્યું કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા 1200 બેડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 180 દર્દીઓ ટ્રાયઝમાં આવ્યા હતા. 17 એપ્રિલે 1200 બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં સૌથી વધુ 399 દર્દીઓ આવ્યા હતા, 17 એપ્રિલ બાદ સતત ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

છેલ્લા કેટલાક દિવસમાં સિવિલ હોસ્પિટલના ટ્રાયઝમાં સારવાર માટે પહોંચેલા દર્દીઓના આંકડાઓની વાત કરીએ તો...

- 18 એપ્રિલે 348

- 19 એપ્રિલે 341

- 23 એપ્રિલે 145

- 24 એપ્રિલે 170

- 25 એપ્રિલે 129

- ગઈકાલે એટલે કે 26 એપ્રિલે 180 દર્દીઓ 1200 બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયઝમાં સારવાર માટે પહોંચ્યા હતા.

રાજ્યમાં કેસનો ઘટાડો

તેમણે કહ્યું કે, આ સિવાય સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે એટલે 26 એપ્રિલે 14,340 કેસો નોંધાયા હતા, જ્યારે 25 એપ્રિલે 14,296 કેસ, 24 એપ્રિલે 14,097 કેસ, 23 એપ્રિલે 13,803 કેસ, 22 એપ્રિલે 13,105 કેસ નોંધાયા હતા.

દેશભરમાં પણ કોરોનાની ગતિ ધીમી પડી

બીજી તરફ દેશભરમાં પણ વધી રહેલા કેસોની ગતિ પણ ધીમી પડી રહી છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,23,144 કેસો નોંધાયા છે, જ્યારે 25 એપ્રિલે 3,53,991 કેસો નોંધાયા હતા, તો 24 એપ્રિલે 3,49,691 કેસ, 23 એપ્રિલે 3,46,786 કેસો, 22 એપ્રિલે 3,32,720 કેસો સામે આવ્યા છે.

લોકોની લોકડાઉનની સમજદારી રંગ લાવી

સામે આવતા આ આંકડાઓ પરથી સ્વયંભૂ લોકડાઉન અને લોકોની સમજદારી રંગ લાવી છે તેવુ કહી શકાય. વેપારીઓ, દુકાનદારો તેમજ અન્ય લોકોએ બતાવેલી સમજદારી, માસ્કનો ઉપયોગ વધાર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આગામી 10 દિવસમાં કોરોનાથી રાહત થાય તેવા સંકેત મળી રહ્યાં છે. જોકે, તજજ્ઞોનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા બતાવવામાં આવી રહેલી સમજદારી લોકો જાળવી રાખે તો જ આ જંગ જીતી શકીશું, જેના માટે આગામી 10 દિવસ મહત્વના સાબિત થશે.

ડો. રજનીશ પટેલે આ વિશે કહ્યું કે, અમદાવાદ સિવિલ કેમ્પસની બહાર જોવા મળતી 108 એમ્બ્યુલન્સની લાઈનોમાં પણ સામાન્ય ઘટાડો ગત દિવસોની તુલનામાં જોવા મળી રહ્યો છે. 20 એપ્રિલની આસપાસ અમદાવાદ કોરોનાના પીક પર હોવાનું પણ અનુમાન છે. આ સિવાય અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. 1200 બેડ હોસ્પિટલ બહાર રોજ સવારે મધ્યપ્રદેશથી એક બસ આવે છે, જેમાં આવનાર તમામને અમે સારવાર પુરી પાડીએ છીએ. કોઈપણ વ્યક્તિનું આધારકાર્ડ જોઈ સારવાર આપવાનો કોઈ ધારાધોરણ અહીં નથી, તમામ દર્દીઓને સારવાર 24 કલાક પુરી પાડવામાં આવી રહી છે. સતત અમારા કર્મચારીઓ દિવસ રાત દર્દીઓની સારવારમાં લાગેલા છે ત્યારે હવે 180 જેટલા RSS ના સ્વયંસેવકો દ્વારા અમને કેટલીક નોન મેડિકલ કામકાજમાં મદદ સાંપડી રહી છે, જે અમારા માટે ખૂબ જરૂરી હતી.

(5:20 pm IST)