Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગુજરાતના ૧૫૦૦ કોંગ્રેસી કાર્યકરો 'બંધારણ બચાવો' રેલીમાં જોડાશે

કોંગ્રેસમાં જબરા જુથવાદ વચ્ચે હવે સીનીયર-જુનીયરના મોરચા મંડાયાઃ સંગઠનમાં સમાવેશ માટે ભારે કાપાકાપીઃ ૩૦મીએ ગુજરાતના ટોચના આગેવાનો રાષ્ટ્રીય પ્રમુખને મળશેઃ ભાજપને ભીડવવાની વાત સાથે આંતરીક લડાઈ અંગે પણ થશે વાતચીતઃ દિલ્હીમાં અહેમદ પટેલ અને રાહુલ સમક્ષ વરાળ ઠાલવાશે

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાત પ્રદેશમાં સૌને કદ પ્રમાણે વેતરવા અને યુવાનોને મહત્વની જવાબદારી માટે હાઈકમાન્ડે ખભ્ભા ઉંચકયા છે ત્યારે ઘણાએ જુથવાદ માટે પણ ખભ્ભા ઉંચકયાના નિર્દેશો વચ્ચે હવે જુથવાદની સાથોસાથ સીનીયર અને જૂનીયરની લડાઈએ દેખા દીધાના અહેવાલો મળે છે ત્યારે ૨૯મીએ દિલ્હીમાં કોંગ્રેસની બંધારણ બચાવો રેલીમાં ગુજરાતમાંથી ટોચના આગેવાનો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ કાર્યકરો જોડાશે અને ૩૦મીએ આંતરીક સ્પર્ધા અને સંગઠનમાં સમાવવા માટેનો મોરચો દિલ્હીમાં મંડાશે તેવા વાવડ મળે છે.

 

ગુજરાતના ટોચના નેતાઓએ આજથી જ દિલ્હી તરફ પ્રયાણ આરંભી દીધુ છે. અમદાવાદથી ૮૦થી વધુ લકઝરી બસોમાં તથા વિમાન-ટ્રેન દ્વારા આગેવાનો તથા કાર્યકરો ૨૮મીએ દિલ્હી જશે.

૨૯મીની બંધારણ બચાવો રેલીમાં દિલ્હી જવા સાથોસાથ ગુજરાતની જુથબંધી, આંતરીક ખેંચતાણ તથા હાલમાં નવા મોરચા સ્વરૂપે સીનીયર-જૂનીયર વચ્ચેની લડાઈની ગરમી ૩૦મીએ દિલ્હીમાં નજરે પડે તેવા નિર્દેશો પણ મળે છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિ સ્પષ્ટપણે જાહેર કરી ચુકી છે કે મે માસના અંતમાં પ્રદેશ સમિતિ, શહેર-જિલ્લા સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ, તમામ સેલ તથા પેટા સમિતિઓમાં ધરખમ ફેરફારો કરશે.

પ્રદેશ સમિતિથી માંડીને તાલુકા સમિતિઓમાં પોતાના જુથના તથા પોતાના અંગત વફાદારોને ગોઠવવા માટે કોંગ્રેસમાં જબરી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

ગઇકાલે રાજયોના ઝોન પ્રભારીઓ જીલ્લા નિરીક્ષકો તથા જનમિત્ર કો. ઓર્ડીનેટરમાં નિમણુંકો થઇ તેમાં પણ ચોકકસ જુથ મેદાન મારી ગયાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું.

ગઇકાલની નિમણુંકોમાં એક ચોકકસ જુથની રીતસરની બાદબાકી થયાનું અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહજીસ સોલંકીના જુથનો દબદબો રહ્યાની બુમો ત્થા નારાજગી બહાર આવી છે.

પ્રદેશ, શહેર-જીલ્લા સંગઠનમાં સમાવેશ માટે ચોતરફથી લોબીંગ શરૂ થયું છે ત્યારે ર૯મીએ દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની બંધારણ બચાવો રેલીના સમાપન બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગલાંધી ત્થા ગુજરાતના વરીષ્ઠ આગેવાન અહેમદભાઇ પટેલ સમક્ષ રજુઆતો, ત્થા ભલામણોનો દોર શરૂ થશે તે નિશ્ચિત છે.

૩૦મીએ રાહુલ ગાંધીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ત્થા વિરોધ પક્ષના નેતા પ્રદેશ ધાનાણી મળશે અને સંગઠનના ફેરફારો ઉપરાંત ગુજરાતમાં ભાજપ સરકાર સામે મજબૂત લડાઇ આપવા માટે વાતચીત કરશે ત્થા કાર્યક્રમો પણ ઘડી કઢાશે.

દરમ્યાન મળતા અહેવાલો મુજબ એક ચોકકસ જુથ ચોકકસ ફરીયાદો સાથે અહેમદભાઇ પટેલને પણ મળશે અને પ્રદેશમાં હાલમાં ચાલી રહેલ જુથવાદ, સીનીયર-જુનિયરના ભેદભાવ અને અવગણના અંગે ધ્યાન દોશી યોગ્ય કરવા માટે પણ રજુઆતોનો દોર ચાલશે.

હાલ તો ગુજરાતના આગેવાનો ર૯મીની રેલીમાં ગુજરાતની તાકાત બતાવવામાં કામે લાગી ગયો છે અને ર૯મીની રેલી બાદ ગુજરાત પ્રદેશ કોંગેસની આંતરીક હુંસા તુંસી, જુથવાદ અને સંગઠનમાં સમાવેશ માટે કામે લાગી જશે.(૨-૩)

(11:47 am IST)