Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કોરીડોર બનાવવા માટે ઉંઝા અને મહેસાણા રેલ્‍વે સ્‍ટેશનને ખસેડવામાં આવશેઃ ખોદકામ પુર્ણ થયા બાદ ટ્રેનના પાટા પાથરવાનું કામ શરૂ કરાશે

અમદાવાદઃ સરકાર દ્વારા ઉંઝા અને મહેસાણા રેલ્વે સ્ટેશનમાં સુવિધા આપવા અને કોરીડોર બનાવવા માટે રેલ્વે સ્ટેશનને શીફટ કરાશે. પેસેન્જર્સની સુવિધા માટે દિલ્હી અને મુંબઇ વચ્ચે આવેલ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરને (DFC) મહેસાણા અને ઉંઝા રેલવે સ્ટેશને શિફ્ટ કરાશે. આ કોરિડોર બનાવવા માટે ઉંઝા રેલવે સ્ટેશનને 1 કિમી અમદાવાદ તરફ ખસેડવામાં આવશે, જ્યારે મહેસાણા સ્ટેશનને પશ્ચિમી દિશામાંથી પૂર્વ બાજુ તરફ ખસેડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઉંઝા સ્ટેશને ડીએફસી સુવિધાની જરૂર છે ત્યારે તંત્રએ આખું સ્ટેશન જ અન્ય વિસ્તારમાં ખસેડવાનું નક્કી કર્યું છે. અધિકારીઓએ કહ્યું કે ખોદકામ પૂર્ણ થવા જ આવ્યું છે, એક વખત ખોદકામ પૂરું થઇ જશે એટલે ટ્રેનના પાટા પાથરવાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

કાલુપુર રેલવે સ્ટેશને ભીડ ઓછી થાય અને માલગાડી તરત પસાર થઇ શકે તે માટે ગેરાટપુરથી સાણંદ વિશિષ્ટ લાઇન નાખવા માટે અમદાવાદ ડિવિઝન તરફથી મંજૂરી મળી ગઇ છે. અધિકારીઓએ કહ્યું કે દરરોજ કાલુપુર રેલવે સ્ટેશનેથી 145 ટ્રેન પસાર થાય છે. પેસેન્જર ટ્રેઇનને પ્રાથમિકતા આપવા આવતી હોવાથી મલગાડીને યાર્ડમાં રાહ જોવી પડે છે. જો કે બનાવવામાં આવનાર આ વિશિષ્ટ લાઇન માલગાડીને સીધી સાણંદ લઇ જઇ શકાશે જ્યાંથી તેઓ ડીએફસી લાઇન જોડે કનેક્ટ થશે અને દિલ્હી તરફ આગળ વધી શકશે. સૌરાષ્ટ્ર બાજુ જતી માલગાડી સાણંદથી વિરમગામ-સુરેન્દ્રનગર લાઇન સાથે કનેક્ટ થશે.

(7:00 pm IST)