Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગુજરાતમાં ત્રણ કરોડથી વધુ લોકોનો સર્વે કરાઇ ચુક્યો છે

ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે થયો : સમગ્ર ગુજરાતમાં ૧૦૦૦૦થી વધારે મહિલા હેલ્થ વર્કરો દ્વારા કરાયેલું ડોર ટુ ડોર સર્વે : આરોગ્યની યોગ્ય ચકાસણી

અમદાવાદ,તા.૨૭ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે સવારે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં ૨૦,૧૦૩ લોકોને ૧૪ દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના ૫૭૫ લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને ૧૯,૩૭૭ લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા ૨૩૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

             લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું. ડો. જયંતી રવિ એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩ કરોડ, ૫૦ લાખ, ૬૯, ૯૨૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, ૩૭,૮૮૫ વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને ૮,૨૬૫ જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં ૧૧૮ જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

(8:51 pm IST)