Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વડોદરામાં હોમ ક્વોરેન્‍ટાઇનમાં લોકોને ૧૪ના બદલે ૨૮ દિવસ રખાશેઃ તંત્ર દ્વારા સાવચેતી માટે મોટો નિર્ણય

વડોદરા: 21 દિવસના લોકડાઉન વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો, બજારો ખુલ્લા રાખવામાં આવ્યા છે. પરંતુ અહી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. કોરોના વાયરસનો ચેપ લોકોમાં ન ફેલાય તે માટે તંત્ર દ્વારા માર્કેટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેલા લોકો પણ નિયમોનું પાલન ન કરીને ઉલ્લંઘન કરી રહ્યાં છે તેવું ધ્યાને આવતા તેમની સામે ફરિયાદ દાખલ કરાય છે. આવામાં વડોદરામાં હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા પરિવારનો હોમ ક્વોરેન્ટાઈન સમય વધારી દેવામાં આવ્યો છે.

3900 પરિવાર હોમ ક્વોરેન્ટાઈનમાં...

વડોદરામાં કોરોના વાયરસના પગલે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હોમ કવોરન્ટાઈનમાં રહેલ પરિવારના દિવસો વધારી દેવામાં આવ્યા છે. હાલ વડોદરામાં હોમ ક્વોરેન્ટાઈનમાં 3900 પરિવાર છે. જેઓને 14 ના બદલે હવે 28 દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવુ પડશે. તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ છે કે, હોમ કવોરન્ટાઈનમાંથી નાસી છૂટતા નાગરિકો સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ થશે. શહેરમાં કોરોના વાયરસ ના ફેલાય તે માટે તંત્રએ આ નિર્ણય લીધો છે.

3 તબીબો હોમ ક્વોરેન્ટાઈનમાં

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો મામલામાં ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મૂળ નડિયાદના નિખિલ પટેલ યુકેથી પરત આવ્યા હતા. દર્દીના સંપર્કમાં આવેલા ગોત્રી મેડિકલ કોલેજના ડીન સહિત 3 તબીબને હોમ કવોરન્ટાઈનમાં મુકાયા છે. ડીન વર્ષા ગોડબોલે, મેડિસિન વિભાગના હેડ શુભાંગીની દેશપાંડે અને ફોરેન્સિક મેડિસિનના હેડ વિજય શાહને 14 દિવસ માટે હોમ કવોરન્ટાઈનમાં મૂકાયા છે. જેઓએ હોસ્પિટલમાં પ્રોટેક્ટિવ કીટ વિના દર્દીની તપાસ કરી હતી.

આજથી વડોદરામાં માર્કેટ બંધ

વડોદરામાં આજથી તમામ મોટા માર્કેટ કરાયા બંધ કરાયા છે. લોકોની ભીડને જોતા મોટા માર્કેટ બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડાયેલ શાકભાજી, ફ્રૂટ અને ફળોનું માર્કેટ પણ બંધ કરાયું છે. સૌથી મોટું હાથીખાના અને ચોખંડી બજાર પણ આજથી બંધ રહેશે. આજથી 1500 લારીઓ અને 2400 ટ્રેકટર મારફતે લોકોને ઘેર બેઠાં શાકભાજી પહોચાડાશે. નાની કરીયાણાની દુકાનો જ આજથી ખુલ્લી રહેશે. મોટા રિટેલ સ્ટોરના કર્મચારીઓ ઘરે ઘરે જઈ સમાનની ડિલિવરી કરશે.

ગુજરાતમાં 22036 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં

ગુજરાત સરકારે આપેલી લેટેસ્ટ માહિતી મુજબ, હાલ ગુજરાતમાં 22036 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જે લોકો હોમ કોરોન્ટાઈનમાં તેઓ પર હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ બંને નજર રાખશે. પ્રોહિબિટેડ છે એટલે હવે જ્યાં છે ત્યાં જ રહેવું પડશે. હાલ રાજ્યમાં લોકડાઉન બાદ ગુના 1038 થયા છે. અત્યાર સુધીમાં 482 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. કુલ 1038 ગુના નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 44 પોઝિટિવ કેસ થયા છે. 236 લોકો સામે હોમ ક્વોરેન્ટાઈન ભંગનો ગુનો દાખલ કરાયો છે. 2 કરોડથી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

(4:06 pm IST)