Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકડાઉન વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામમાં ડિઝીટલ બેસણું યોજાયુઃ કોરોનાના કારણે ટેક્નોલોજીનો ઉપયોગ

સાબરકાંઠા: દેશભરમાં લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોકડાઉન વચ્ચે આખરે માનવતા પ્રસરેલી જોવા મળી રહી છે. તો લોકો અનેક બાબતોને ઓનલાઈન કરી રહ્યાં છે. લોકડાઉન વચ્ચે સાબરકાંઠા જિલ્લામા આવેલ પુંસરી ગામમાં આજે ડિજીટલ બેસણું આયોજિત કરવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારી વચ્ચે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના પુંસરીમાં ગામના વતની જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થયું હતું. ત્યારે ભારતીય પરંપરામાં મરણ બાદ બેસણુ યોજવાનો રિવાજ છે. કોરોનાની દહેશત વચ્ચે બેસણામાં કોઈ આવે નહિ. ત્યારે આવા સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના સરપંચે જણાવ્યું કે, જયંતીભાઈના મોતનું મને દુઃખ પણ હતું અને ચિંતા પણ હતી. આવા પ્રસંગે ગામડામાં સગા સબંધી આવે નહિ. પરંતુ કોરોના લઈને ગઈકાલે નિર્ણય કર્યો કે, કોઈ પણ વ્યક્તિ સગા પુંસરી નહીં આવે અને એક જ દિવસમાં સુતક બેસણું તમામ વિધી પૂર્ણ કરાશે. ઘરના મોભી નટુભાઈએ મારી વાતને સમર્થન કર્યું હતું. આવામાં જયંતીભાઈનો મુંબઈ રહેતો પુત્ર પણ પહોંચી શકે તેમ ન હતો. તો આજુબાજુના ગામમાંથી પણ કોઈ આવે નહિ. આ કારણે તમામ સંબંધીઓ માટે ઓનલાઈન બેસણુ રાખવામાં આવ્યું હુતં. ફેસબુક લાઈવ અને વીડિયો કોન્ફરન્સથી બેસણુ કરવામાં આવ્યું હતું.

પુંસરી પંચાયતનું આઈડી અને એમના ભત્રીજા આશિષ દરજીના આઈડી સાથે ગુજરાત અને દેશમાં રહેતા તમામ સગાઓ લાઈવમાં જોડાયા હતા. ટેકનોલોજીનો આવા સમયે સદુપયોગ કરી મોટી આફત સામે લડી શકાય છે તેનુ ઉદાહરણ પુંસરીમાં જોવા મળ્યું હતું. અંદાજે 230 વ્યક્તિઓ આ ડિજિટલ બેસણામાં સામેલ થઈ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ ગામ  2 યુવાનો સચિન અને વીશવમે ટેકનોલોજી વ્યવસ્થા ઉભી કરવા મદદ કરી હતી. આમ, પરિવારના 5 સભ્યોથી વધારે પણ ભેગા ના થઈ અને 21 દિવસની લક્ષમણ રેખાને પાડી બેસણુ કરવામાં આવ્યું હતું.

(4:06 pm IST)