Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી

વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક  દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

  તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક શાળા ગોરૈયા ખાતે આયોજિત કાર્યક્રમમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર મેડીકલ સર્વિસીસ ગાંધીનગર ડો.ઉપેન્દ્ર ગાંધી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, તાલુકા સુપરવાઇઝર નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, હાર્દિકા ગોસ્વામિ, શાળાના આચાર્ય ધનીબેન વણોલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.

     વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના વિરમગામ તાલુકાના ૧ થી ૧૯ વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલ્ટી અને વજન ઓછુ થવુ જેવી અનેક હાનીકારક અસરો જોવા મળે છે

 . બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાથી લોહીની ઉણપમાં સુધારો,પોષણ સ્તરમાં સુધારો, સ્કુલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવન દરમાં વૃધ્ધી,વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જન સમુદાયને લાભ થાય છે. આજના દિવસે કૃમિનાશક ગોળી ન ખાધી હોય તેવા બાળકોને મોપઅપ દિવસ ૩ માર્ચ ૨૦૨૦એ કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવશે.

(2:18 pm IST)