Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

૭૩માં પ્રજાસત્તાક પર્વે અમદાવાદ જિલ્લા ખાતેના કાર્યક્રમમાં આન બાન શાનથી ગગનમાં તિરંગો લહેરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ

આફતને અવસરમાં પલટવાનો ગુજરાતીઓનો મિજાજ છે :ગુજરાતના ખૂણે-ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકાર પરિણામ લક્ષી પ્રયાસો કરી રહી છે : ઋષિકેશભાઇ પટેલ

dir="ltr"> 
અમદાવાદ :આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ૭૩માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આજના પાવન દિને ૭૨ વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દિર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના મકરબા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રધ્વજને આન-બાન-શાનથી ગગનમાં લહેરાવ્યા બાદ તેમણે જણાવ્યુ  કે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.
ગુજરાત એક એવો પ્રદેશ છે કે, જ્યાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રે સમતોલ વિકાસની અદભૂત કેડી કંડારાઇ છે. લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રબોધેલા ‘સૌના સાથ,સૌના વિકાસ, સૌના વિશ્વાસ’ મંત્રને ઊર્જાવાન મુખ્ય મંત્રીના નેતૃત્વ હેઠળની‘ટીમ ગુજરાત’ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.
મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષીત ગુજરાત રહે એ માટે સરકાર દિવસ રાત મહેનત કરીને નિષ્ઠાપૂર્વક જનતાની પડખે ખભે ખભા મિલાવીને ઊભા રહેવાવાળા છીએ.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે,  છેલ્લા દોઢ-બે વર્ષથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે બાથ ભીડી રહ્યું છે. ભારત દેશે ૧૫૦ કરોડ ઉપરાંતના રસીકરણની ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી કોરોનાને નાથવાના જંગમાં ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત મક્કમતાથી અગ્રેસર રહ્યું છે.
રાજ્યમાં  ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ટ્રીટમેન્ટ(3T) અને વેક્સિનેશનનો બહુપાંખીયો વ્યૂહ અપનાવી કોરોનાને નિયંત્રણમાં રાખવા આપણે વ્યાપક પગલાં લીધાં છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મંત્રીએ રસીકરણની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાની મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધે, સંક્રમણ અટકે તેમજ મહામારી સામે રક્ષણ મળે તે ઉદ્દેશ્યથી રાજ્યમાં છેલ્લા ૧૨૧ દિવસમાં ૫૩.૮૭ લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૨.૩૩ કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. કુલ ૪.૭૭ કરોડ લોકોને  કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૩૬ કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે.૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ૯૦% નાગરિકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. ૧૫ થી ૧૭ ની વયના રાજ્યના  ૭૦% તરુણને પણ કોરોનાની રસીનો ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
રાજ્યના દરેક નાગરિકોને કોવિડ-૧૯થી સુરક્ષિત કરવા નક્કર કામગીરી હાથ ધરીને ૬૦ વર્ષથી ઉપરની વયના વડિલો, ફ્ર્ન્ટ લાઇન વર્કરો, હેલ્થ વર્કરનેકોવિડ -૧૯ સામે રક્ષણ આપવા પ્રોત્સાહક ડોઝ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ૫૨ ટકા લોકોને જ્યારે અમદાવાદ જિલ્લામાં ૫૮ ટકા લાભાર્થીઓએ પ્રોત્સાહક ડોઝનો લાભ લીધો છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મંત્રીએ અમદાવાદ જિલ્લાઓની સિદ્ધીઓ અંગે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ‘આપ કે દ્વાર આયુષ્યમાન’ કાર્યક્રમ અંતર્ગત 2 લાખ 83 હજાર જેટલા લાભાર્થીઓને PMJAY-MA યોજનાથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. 25 આયુર્વેદિક દવાખાના અને 21 સરકારી હોમિયોપેથિક દવાખાના તેમજ ધનવ્તરી-સંજીવની રથ દ્વારા એક વર્ષમાં 3,35,09,824 ઉકાળા વિતરણ કરવામાં આવ્યા છે. *અમદાવાદ જિલ્લામાં આરોગ્યક્ષેત્રે બાલ કવચ કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો છે જે સમગ્ર જિલ્લા અને રાજ્ય માટે ગૌરવવંતી બાબત છે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ જણાવ્યું કે,  અસરગ્રસ્તોની પડખે સરકાર હંમેશા અડિખમ ઊભી રહી છે. અમદાવાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડા દરમિયાન ખેતી અને બાગાયતી પાકને થયેલા નુકશાનીના અર્થે જિલ્લાના 893 ખેડૂતોને રૂપિયા 1.62 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
જળસંચય, જળવિતરણ અને જળ વ્‍યવસ્‍થાપન ક્ષેત્રે ગુજરાતે પાણીદાર આયોજન કર્યું છે. રાજ્યના નગરો-મહાનગરોમાં સૌને પીવાનું શુધ્ધ અને પુરતું પાણી મળી રહે તે માટે રાજ્યની છ નગરપાલિકાઓમાં કુલ રૂ. ૬૩.૩૭ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામોને સત્વરે મંજૂરી આપી છે.વડોદરા સાવલી-ડેસર અને કરજણ તાલુકાના કુલ ૨૧૧ ગામો માટે રૂ. ૩૬૪ કરોડની નવીન પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્તપણ કરી દેવામાં આવ્યું છે. આ યોજના સાકાર થતાં ૪.૩૫ લાખ ગ્રામીણ લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાના ઘરતીપુત્રો સુધી નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે અંદાજીત રૂપિયા 4370 કરોડના ખર્ચે ફેઝ-1 ના કામોને મંજૂરી આપી છે. જેમાં પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઇ યોજનાઓમાં આ પાણી નાખવાનું સુદ્રઢ આયોજન અમારા જળસંપતિ વિભાગ દ્વારા હાથ ધરાયું છે.
 આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિચારને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી રહ્યું છે. એટલું જ નહીં, ભારત દેશના ઉજ્વળ ભવિષ્ય માટે ગુજરાત એક સંપૂર્ણ વિઝન પૂરવાર થઇ શકે એમ છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ સમુહ ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ પરેડ અને માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડ અને માર્ચ પાસ્ટમાં વિવિધ પ્લાટુનોએ પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના વિકાસ અર્થે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે કલેક્ટરશ્રીને 25 લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દેશની આઝાદી માટે મહામુલુ પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીનું મંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોનાકાળ દરમ્યાન પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના દર્દી નારાયણને પરિવાર ગણી સેવા કરનાર કોરોના વોરિયર્સ, 108 ઇમરજન્સી મેડિકલ હેલ્થ યુનિટ, ખિલખિલાટ, વેટેરનરી ડિસ્પેન્સરીના કર્મચારીઓ તેમજ રેવન્યુ અધિકારીશ્રી અને કર્મચારીઓનું પણ મંત્રીએ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી દ્વારા પોલીસ અધિકારીશ્રીઓ અને સામાજીક વનીકરણ વિભાગના કર્મચારીઓને પ્રશંસાપત્ર તેમજ રમત-ગમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દસ્કોઇના ધારાસભ્ય બાબુભાઇ પટેલ, વેજલપુરના ધારાસભ્ય કિશોરભાઇ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળા - કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:05 pm IST)