Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગ સાથેની જાહેર હિતની અરજી મુદ્દે હાઇકોર્ટનો ૧૦ ફેબ્રુઆરીઍ જવાબ રજૂ કરવા ચૂંટણી પંચને આદેશ

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપેરથી યોજવાની માંગ કરવા માટે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ખંડપીઠે આ મામલે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

આ અંગે અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે.આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અરજદાર તરફે કરવામાં આવેલી RTIના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્યના એકમોની ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવતો નથી.

આથી રાજ્યના ચૂંટણી પંચમાં VVPAT ઉપલબ્ધ નથી. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનું ચૂંટણી પંચ જાહેરાત કરે.

અરજદાર તરફે આ મુદ્દે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે આજ દિવસ સુધી કોઈ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માંગ કરી છે. અરજદારે PILમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકયો છે.

19મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશના લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર EVMની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચની રચના બંધારણ હેઠળ કરવામાં આવી છે.

(5:01 pm IST)