Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા વચ્ચે લહેરાયો રાષ્ટ્રધ્વજ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાસત્તાક દિવસે ગરવા ગુજરાતીઓનું કર્યું અભિવાદનઃ દાહોદે ૭૨માં પ્રજાસત્તાક પર્વના રાજ્યોત્સવની કરી જાનદાર પ્રશાનદાર ઉજવણીઃ પોલેન્ડના કાઉન્સીલ જનરલની ઉપસ્થિતિ નાગરિકોએ ગણવેશધારી દળોની ગૌરવશાળી શિસ્તબધ્ધ કૂચને તાળીઓ નાદથી વધાવી

અમદાવાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૭૨મા પ્રજાસત્તાક પર્વે  પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભકિતની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્ટ્રપ્રેમથી તરબતર હજારોની સંખ્યામાં દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયાં હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું.

 આ અવસરે પોલેન્ડના કાઉન્સીલ જનરલ   શ્રીયુત ડેમીયન રીઝક  ઉપસ્થિતિ રહ્યા હતા.

  ઊગતા સૂરજના પ્રદેશ એવા દાહોદમાં ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ કોવીડ - ૧૯ ની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે  ઉમટી પડ્યા હતા. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.

રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ આયુષમાન ભારત યોજના તહત પ્રધાનમંત્રી જનઔષધિ  તેમજ મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર  દાહોદના ડો.સંજીવકુમાર, ડો.બિરેન પટેલ અને ડો.કશ્યપ વૈધનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, વજુભાઈ પણદા, ચંદ્રિકાબેન  બારીયા, રમેશભાઈ કટારા, વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, યુવક સેવા વિભાગના સી.વી. સોમ, માહિતી નિયામક અશોક કાલરીયા, કલેકટર  વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોયસર,  નિવાસી  અધિક કલેકટર મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:00 pm IST)