Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પ્રજાસત્તાક પર્વે

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) દ્વારા શહીદ જવાનોના દીકરા-દીકરીઓને વિદ્યાસહાય અર્પણ

અમદાવાદ તા. ૨૭ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌SGVPના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ધ્વજવંદનની સાથે સાથે બાળકો દ્વારા દેશભક્તિના નૃત્યો, અંગ્રેજી, સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં પ્રવચન તથા પરેડ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે પ્રજાસત્તાક પર્વ SGVP માટે ખાસ મહત્ત્વનું બની રહે છે. કારણ કે છેલ્લા કેટલાંય વર્ષોથી સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના સંકલ્પાનુસાર આજના પાવન દિવસે શહીદ પરિવારના દીકરા-દીકરીઓને સંસ્થા દ્વારા વિદ્યાસહાય અર્પણ કરવામાં આવે છે. જે લોકોએ દેશના રક્ષણ માટે પોતાની જાતના બલિદાન આપ્યા છે, એવા જવાનોનાં સમર્પણને યાદ કરી ભગવાનના પ્રસાદ સ્વરૂપે આ સહાય અર્પણ કરવામાં આવે છે.

આ વર્ષે પણ શહિદ જવાનોના દીકરાઓને સંતોના હસ્તે તથા દીકરીઓને મહાનુભાવોના હસ્તે વિદ્યાસહાય અર્પણ કરાઈ ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાથી આ પ્રસંગને વધાવી લીધો હતો.

હાલમાં આફ્રિકા ખાતે ઉપસ્થિત સ્વામી માધવપ્રિયદાસજીએ ટેલીફોનથી જણાવ્યું હતું કે, દેશને અર્થે પોતાના સર્વસ્વનું બલિદાન કરનારા દેશના રક્ષકોને યાદ કરવા એ આપણી ફરજ છે. આપણે સરહદ ઉપર લડવા તો નથી જઈ શકતા, પરંતુ જે પરિવારે પોતાના સંતાનો દેશને અર્પણ કર્યા છે એવા પરિવારને યાદ કરવા તથા એમને મદદરૂપ થવું એ આપણી સહુની જવાબદારી બની રહે છે.

                                           

(12:09 pm IST)