Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોના મહામારીના કારણે ન્યુ યરમાં જંગલમાં રજાની મજા માણવા જતા પ્રવાસીઓને બે દિવસ એન્ટ્રી નહી મળે

સાબરકાંઠા :અમદાવાદીઓ માટે નજીકનું ફરવા માટેનું ફેવરિટ સ્પોટ એટલે પોળોના જંગલ. રજા આવે એટલે મોટી સંખ્યામાં લોકો પોળોના જંગલમાં હરવા ફરવા પહોંચી જાય છે. પરંતુ જો તમે ન્યૂ યરની રજાઓમાં પોળો ફોરેસ્ટ (polo forest) જવા માંગતા હોય તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે, વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે ચાર દિવસ પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 2020 ના વર્ષ (new year) ના અંતિમ બે દિવસ માટે પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓને એન્ટ્રી નહિ મળે.  

26 અને 27 ડિસેમ્બર તથા 30 અને 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દિવસોમાં જાહેર રજા આવે છે. તેથી રજાના દિવસ 26 અને 27 ડિસેમ્બરે પ્રવાસીઓના પ્રતિબંધ માટે જાહેરનામુ અગાઉથી અમલમાં મૂકી દેવાયું છે. વર્ષના છેલ્લા દિવસોમાં પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો હતો. ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાંથી પ્રવાસીઓ પોળો ફોરેસ્ટમાં આવતા હોય છે, જેથી અહી ભીડ વધી જતી હોય છે. લોકડાઉન બાદ ખૂલેલા પોળો ફોરેસ્ટમાં એટલી ભીડ વધી ગઈ હતી કે, એક કિલોમીટર સુધી પાર્કિંગ થયું હતું અને બાદમાં તંત્રને જંગલ બંધ કરવાની ફરજ પડી હતી. જેથી આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.  

જિલ્લા કલેક્ટર સીજે પટેલ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ ત્રણ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધી જાહેરનામુ અમલ રહેશે. તેથી ન્યૂ યરમાં ફરવા જનારા લોકો આ બાબતની ખાસ નોંધ લે. નહિ તો ત્યાં જઈને પસ્તાવાનો વારો આવશે. 

પરંતુ જનારા પ્રવાસીઓ એ પણ ધ્યાનમાં રાખી લે કે, વચ્ચેના દિવસોમાં પોળો ફોરેસ્ટમાં પ્રવેશ મળી શકશે. એટલે કે, 28 અને 29 ડિસેમ્બરે પોળો ફોરેસ્ટમાં પ્રતિબંધ રહેશે નહિ.  

(5:38 pm IST)