Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઝાલોદના સ્વ. હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી : રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઝાલોદમાં બેઠક કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન : પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી

રાજકોટ::ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે કોઇ પણ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહી આવે.

દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. પટેલના પરિવારજનોને ફરી મળ્યા હતા. શ્રી જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેશ પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે શ્રી જાડેજાએ આજે ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. 

તે બાદ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર શ્રી અમિત વિશ્વકર્મા, એટીએસના શ્રી હિમાંશુ શુક્લા, નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા, પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

બેઠક બાદ એક નિવેદનમાં શ્રી જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રીયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. 

અત્રે યાદ અપાવવાનું જરૂરી છે કે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેકનિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે. 

(5:05 pm IST)