Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વડોદરામાં એક વૃધ્ધનું આ રીતે થયું મોત

શરદી, તાવ બાદ હવે ઝાડા બંધ ન થાય તો પણ હોય શકે છે કોરોના

વડોદરા,તા. ૨૬: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત દ્યટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૯૧૦ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં ૨ નવેમ્બર એટલે કે, ૫૩ દિવસ બાદ નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. ત્યારે કોરોના વાયરસને કારણે નવી નવી બીમારીઓ થતી હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને કિશનવાડી પાસે રહેતા ૫૭ વર્ષના રમેશભાઇ સોલંકી બે દિવસના ઝાડા બાદ મૃત્યું પામ્યા હતા. જે બાદ તેમનો આરટીપીસીઆર કેસ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને કિશનવાડી ઝંડા ચોક પાસે રહેતા ૫૭ વર્ષના રમેશભાઇ સોલંકીને બે દિવસથી ઝાડા થયા હતા. તેઓને ગુરૂવારે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમનું ટૂંકી સારવાર બાદ જ મોત નીપજયું હતુ. જે બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં રમેશભાઇ કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ.

આ અંગે એસએસજી હોસ્પિટલના ડોકટરોનું કહેવુ છે કે, શરદી, ગળામાં બળતરા, ઉધરસ અને તાવ એ કોરોનાના સામાન્ય લક્ષણો છે. મોટી ઉમરના દર્દીઓમાં દ્યણી વખત સામાન્ય લક્ષણો દેખાતા નથી હોતા. પરંતુ જો ઝાડા થઇ જાય છે તો આ કોરોનાનું એડવાન્સ સ્ટેજ છે. માટે ઝાડા થાય તો પણ અવગણના કરવી નહીં પરંતુ તરત જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો.

શહેરમાં સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો શંકાસ્પદ કેસ સામે આવતાં તેની અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જોકે તે દર્દી હોસ્પિટલમાંથી ગાયબ થતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે, વડોદરામાં ૭૦ વર્ષનાં એક વૃદ્ઘામાં મ્યુકોરમાઈકોસિસનાં લક્ષણો જોવા મળતાં તેઓ ૩ દિવસ પહેલાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓના બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેનો બાયોપ્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અગાઉ મ્યુકોરમાઇકોસિસના ૪ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી ૨ દર્દીઓને અમદાવાદ રિફર કરાયા હતા. જયારે બીજા ૨ સાજા થયા હતા.

(9:34 am IST)