Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મહુધા તાલુકાના હાજાતિયાના યુવાનની તળાવમાંથી લાશ મળી આવતા તપાસ શરૂ

મહુધા:તાલુકાના હજાતીયાનો યુવાન ચાર દિવસ અગાઉ રહસ્યમય રીતે ગૂમ થયો હતો. આજે સવારે ગામના તળાવમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતોનુસાર હજાતીયામાં રહેતો પ્રકાશભાઇ નરેશભાઇ પરમાર ગત તા. ર૧ ડીસે.ના રોજ બપોરે સાડા ત્રણ વાગે સાસરીમાંથી ઘરે પરત આવ્યો હતો .ઘરે આવ્યા બાદ તે ગામમાં જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ મોડી રાત્રિ સુધી પ્રકાશભાઇ ઘરે પરત આવ્યા ન હતા. આથી તેની શોધખોળ કરવા છતાંયે કોઇ પત્તો મળ્યો ન હતો.જે અંગે તા. ર૩ ડિસે.ના રોજ મહુધા પોલીસમાં ગૂમ થયાની જાણ કરવામાં આવી હતી.
દરમયાન આજે સવારે હજાતીયા ગામની પાદરે આવેલા તળાવમાં લાશ જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. લાશને બહાર કાઢંવામાં આવતા તે ચાર દિવસ અગાઉ ગૂમ થયેલ પ્રકાશ પરમારની હોવાની ઓળખ થઇ હતી. બનાવ અંગે જાણ થતા મહુધા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સાસરીમાંથી પરત ઘરે આવ્યા બાદ પ્રકાશભાઇ સાથે કોઇ ઘટના બની હતી કે તેઓ અકસ્માતે તળાવમાં ડૂબી ગયા હતા કે પછી તળાવમાં પડીને આપઘાત કર્યા સહિતની વિવિધ પ્રકારની અટકળો વ્યકત થઇ રહી છે. આ બનાવ અંગે નટુભાઇ પરમારે જાણ કરતા મહુધા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)