Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં દીકરીના જન્મ બાદ પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: દીકરીના જન્મ પછી પરિણીતાને ત્રાસ આપી હેરાન કરતા પતિ,સાસુ,સસરા અને નણંદ સામે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પથ્થર ગેટ નાની ખારવા વાડમાં રહેતા માધુરીબેન જીજ્ઞોશભાઇ ખારવાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન તા.૦૬-૦૨-૨૦૧૧ ના રોજ જીજ્ઞોશ ખારવા (રહે.મોટી તંબોળી વાડ,મદનઝાંપા રોડ) સાથે થયા હતા.લગ્ન પછી ત્રણ વર્ષ સુધી મારા સાસરિયાઓએ મને સારી રીતે રાખી હતી.ત્યારબાદ મારે સંતાનમાં  દીકરી થઇ હતી.દીકરીના જન્મ પછી મારા પતિ, સાસુ, સસરા તથા નણંદોએ અચાનક વર્તન બદલાઇ ગયું હતું.તેઓ નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતા હતા.અને મને અપમાનિત કરી કામવાળી બાઇની જેમ કામ કરાવતા હતા.અને અવાર - નવાર મને ઘરમાંથી બહાર કાઢી મૂકતા હતા.પરંતુ, મારા પિયરવાળા મને સમજાવીને પરત સાસરી મૂકી જતા હતા.જાન્યુઆરી - ૨૦૧૮ માં મારી સાથે સાસરીવાળાઓએ ઝઘડો કરી પહેરેલા કપડે કાઢી મૂકી હતી.

નવાપુરા પોલીસે  આ અંગે જીજ્ઞોશ ખારવા, બંસીલાલ ખારવા, જસુબેન ખારવા, જાનકીબેન ખારવા, કીર્તિબેન ખારવા તથા દિપલ ખારવા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)