Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વડનગર ખાતેના તાનારીરી મહોત્સવ-૨૦૨૦નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી

ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટની સાથો સાથ કલા, સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા ઉભી કરી છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાનારીરી મહોત્સવ-૨૦૨૦નો ઇ-પ્રારંભ કરાવતા જણાવ્યુ કે, ગુજરાતે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કે એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ નહિ પરંતુ તેની સાથો સાથ કલા, સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા ઉભી કરી છે.
  મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઇશ્વરભાઇ પટેલની  ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઇને વડનગર ખાતે યોજાઇ રહેલા તાનારીરી મહોત્સવનું ઉદઘાટન કર્યુ હતુ. તેમણે તાનારીરી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટ્સનો પણ શુભારંભ આ અવસરે કરાવ્યો હતો.
   મુખ્યમંત્રીએ કહ્યું કે, તાનારીરી મહોત્સવ એ તજજ્ઞ સંગીતજ્ઞો અને સંગીતરસીકો માટે એક અભૂતપૂર્વ આકર્ષણ બન્યો છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં તેની ખ્યાતી વિસ્તરી છે અને  ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આ મહોત્સવ સ્થાન પામ્યો છે, તે ખાસ કરીને ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.
 વિજયભાઇ રૂપાણીએ  કહ્યુ કે ગુજરાતમાં કલા-સાહિત્ય અને સંગીત ક્ષેત્રની પાંગરતી પ્રતિભાઓને વિશાળમંચ આપવા કલા મહાકુંભનું આયોજન કરીને ૧૧ લાખ ૩૮ હજાર જેટલા લોકોને કલા કૌશલ્યની તક આપી છે.

  તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ના વર્ષથી આ તાનારીરી મહોત્સવ શરૂ કરાવીને આધ્યકવિ નરસિંહ મહેતાની દોહિત્રીઓ તાના અને રીરીના સંગીત અને ગાયન ક્ષેત્રના ઇતિહાસને હાલની પેઢી સમક્ષ ઉજાગર કરી અમરત્વ બક્ષ્યુ છે.
૨૦૧૦ના વર્ષથી દેશના અને ગુજરાતના  સુપ્રસિદ્ધ મહિલા સંગીત અને ગાયન કલાકારોને તાનારીરી પુરસ્કારથી સન્માનિત કરવાનો ઉપક્રમ નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો અને તેને આપણે કોરોનાના આ સંક્રમણકાળ વચ્ચે પણ ડીજીટલી મહોત્સવથી જાળવી
રાખ્યો છે.
  મુખ્યમંત્રીએ રાજ્યમાં કલા-સાહિત્ય-સંગીત સાથો સાથ નાટક, પેઇન્ટીંગ, ફોટોગ્રાફી અને શિલ્પકલા ક્ષેત્રોમાં પણ સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પૂરસ્કાર આપીએ છીએ તેમ ગૌરવસહ જણાવ્યું હતું.
  તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યના યાત્રાધામો સોમનાથ, દ્વારકા, ડાકોર, અંબાજી, શામળાજી, ઉનાઇ, ચોટીલા, ખોડિયાર અને શુકલતીર્થ માટે વિવિધ ઉત્સવોનું આયોજન કરીએ છીએ એટલુ જ નહિ પાટણની રાણકી વાવ અને મોઢેરાના સૂર્યમંદિરમાં પણ શાસ્ત્રીય ગાયન અને ઉત્તરાર્ધ ઉત્સવથી આપણે સંગીત કલા સંસ્કૃતિની ધરોહરને વધુ ઉજ્જવળ બનાવી છે અને જે સર્જનાત્મક શક્તિ કલાકારોમાં ઇશ્વરે આપી છે તેને વધુ પ્રોત્સાહીત કરીએ છીએ.
  મુખ્યમંત્રીએ તાનારીરી એવોર્ડ-૨૦૨૦ અંતર્ગત સુપ્રસિદ્ધ ગાયિકા સુ.શ્રી અનુરાધા પોંડવાલ અને સુ.શ્રી વર્ષાબેન ત્રિવેદીને એવોર્ડથી પુરસ્કૃત કર્યા હતા.

(9:38 pm IST)