Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગુજરાતમાં કોરોના વેકસીનનું વિતરણ જુદા-જુદા ૪ તબક્કામાં કરાશે : વિજયભાઇ રૂપાણી

અમદાવાદ તા. ૨૬ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે. રૂપાણીએ કોરોના વેકસીનની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપતાં જણાવ્યું કે, આ વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર કામ ચાલે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર પણ બને તેટલી વહેલી વેકિસન આવી જાય તેમજ તે બને એટલી પારદર્શિતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં વિચારાધીન છે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સંભવતૅં આ વેકસીન વિતરણ માટે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે ડાઙ્ખકટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, હોસ્પિટલોના સ્ટાફ વગેરેને આવરી લેવાશે.

બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇ કર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે, તેમજ ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા તબક્કામાં ૫૦ વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબિડ એટલે કે અન્ય બિમારીઓથી પીડિત લોકોને આવરી લેવાશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ પ્રારંભિક ચર્ચા-વિચારણાઓ છે પરંતુ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેકિસન અંગેની વિતરણ વ્યવસ્થા થશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજયમાં કોરોના સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ઘ છે. ઓછામાં ઓછું સંક્રમણ થાય એટલું જ નહિ, સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળી રહે તે માટે પૂરતા બેડ, તબીબો, દવાઓ-સાધન સામગ્રીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સંક્રમિતો આના પરિણામે જલ્દીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે જાય તેવી આપણી નેમ છે, એમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકોની સ્વાસ્થ્ય સલામતી એ સરકારની પ્રાયોરિટી-પ્રાથમિકતા છે. રાજયમાં ફરી લોકડાઉન આવવાની કે રાત્રિ કરફયુ લાગુ કરવાની વાતો માત્ર અફવા છે. તેમણે કહ્યું કે, જે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હાલ જે રાત્રિ કરફયુ છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.તેની સાથે તેમણે રાજયના નાગરિકોને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો છે કે, કોરોના સંક્રમણને વ્યાપક થતું અટકવવા સૌ લોકો એસ.ઓ.પી.નું પાલન કરે, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડભાડ ન કરે અને સ્વયં સતર્કતા, સાવચેતી રાખે.

ખોટો ડર કે ગભરાટ રાખવાની પણ કોઇએ જરૂર નથી. સરકાર સંપૂર્ણ સજાગ છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. વિજયભાઇએ જણાવ્યું કે, આમ છતાં, જો સંક્રમણનો વ્યાપ વધશે કે સ્થિતી વિકટ થશે તો રાજય સરકાર લોકોની આરોગ્ય-સલામતી ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે.

(4:07 pm IST)