Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

લોકતંત્ર-લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી-તેની રક્ષા સમાનતા-સ્વતંત્રતા-બંધુત્વ જળવાશે તો લોકશાહી મજબુત બનશેઃ વિજયભાઇ

બંધારણની મહત્તાને નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં બંધારણ દિવસ તરીકે ઉજવીને પરંપરા પ્રસ્થાપિત કરી છેઃ રાષ્ટ્રપતિએ વિડીયોલીંકથી બંધારણના આમુખનું સમુહ પઠન કરાવ્યું: બંધારણ દિવસની ઉજવણીમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી-મંત્રી મંડળના મંત્રીઓ વરિષ્ઠ સચિવો જોડાયા

રાજકોટ તા. ૨૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકતંત્રમાં સંવિધાન-બંધારણને સર્વોપરિ ગણાવતાં તેની રક્ષા આપણું કર્તવ્ય છે તેવો સ્પષ્ટમત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણા બંધારણના ઉદેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહિ પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ થી તા.ર૬ નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરા અંતર્ગત આજે તા.ર૬ નવેમ્બરે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ મંત્રી-મુખ્યમંત્રીશ્રીઓ-અધિકારીઓ-પદાધિકારીઓને બંધારણના આમુખનું નવી દિલ્હીથી વિડીયો લીન્ક દ્વારા સમૂહ પઠન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવો અને સચિવશ્રીઓ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ દરમ્યાન બંધારણનું આગવું મહત્વ પ્રસ્થાપિત કરતાં હાથીની અંબાડી પર બંધારણ યાત્રા કાઢીને બંધારણની સર્વોપરિતા અને મહત્વ વિશે જનજાગૃતિ ઊજાગર કરી છે.

તેમણે પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળતા દેશમાં તા.ર૬મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી કરી તે અન્વયે આ બંધારણ દિવસ ઉજવાયો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેવડીયામાં ચાલી રહેલી સ્પીકર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા દેશના રાજયોની વિધાનસભાઓના અધ્યક્ષો પણ રાષ્ટ્રપતિશ્રી દ્વારા બંધારણના આમુખના સમૂહ પઠનમાં જોડાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૌ કોઇ દેશના બંધારણને વફાદાર રહીએ, દરેકને અધિકારો મળે સમાનતા, સ્વતંત્રતા મળે તે હેતુસર આ સામુહિક શપથ લેવામાં આવ્યા છે.

(2:40 pm IST)