Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમદાવાદ જીલ્લાના વનથળધામ ખાતે શ્રી સદગુરૂ વંદના જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન

હોમાત્મક ૧૨૧ કુંડી શ્રી અતિરૂદ્ર મહાયજ્ઞ, ધર્મસભા, સદગુરૂ પાદુકા પુજન, લોકડાયરો સહિતના કાર્યક્રમો : શ્રી ગૂરૂગાદી સનાતન ધામ આનંદ આશ્રમ વનથળના ગાદીપતિ મહંતશ્રી દિનબંધુલાલાજી મહારાજે ભક્તો અને ધર્મપ્રેમી જનતાને પરિવાર સહિત પધારવા નિમંત્રણ પાઠવ્યુ:૧ થી ૩ ડિસેમ્બર સુધી આયોજિત કાર્યક્રમમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે

 ( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ:અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલું વનથળ ગામ સદગૂરુ શ્રી પુરષોતમ લાલજી મહારજની કર્મભુમિ અને તપોભુમી છે. આ પવિત્ર ભુમિ પર સદગૂરુના હસ્તે સ્થપાયેલ ગૂરૂ ગાદી, સમાધિ સ્થાન અને સ્મૃતિ મંદિર આવેલ છે. સત્સંગની દિવ્ય ગરીમાને પોતાની સાધુતાથી શોભાવી, સમગ્ર શિષ્ય સમુદાયને ગુરુમંત્ર આપી સહજતાથી ઈશ્વરની ઓળખ કરાવનાર પ.પૂ. બાલબ્રહ્મચારી શ્રી ૧૦૮ ધર્મસેવાલંકાર વનથળ નિવાસી સદગુરુદેવશ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીનો શ્રી સદગૂરૂ વંદના જન્મ શતાબ્દિ મહોત્સવ વનથળમાં યોજાનાર છે. અવિસ્મરણીય મહામહોત્સવ સમાન સદગુરૂદેવશ્રીનો ૧૦૦માં વર્ષનો સમૈયો વિ.સં. ૨૦૭૬ ને માગસર સુદ પાંચમને રવિવાર તા. ૦૧/૧૨/૨૦૧૯થી માગસર સુદ - ૭ને મંગળવાર, તા. ૦૩/૧૨/૨૦૧૯ દરમ્યાન વનથળ મુકામે ખૂબ જ ધામધૂમપૂર્વક દિવ્ય અને ભવ્ય રીતે સૌ શિષ્ય સમુદાય અને ધર્મપ્રેમી સેવકોના સહિયારા પુરુષાર્થથી હર્ષોલ્લાસથી ઉજવાશે.

        શ્રી ગૂરૂગાદી સનાતનધામ આનંદ આશ્રમ વનથળના  ગાદીપતિ મહંતશ્રી દિનબંધુલાલજી મહારાજે જણાવ્યુ હતુ કે, શ્રી સદગુરૂ વંદના જન્મ શતાબ્દી મહોત્સવ ૨૦૧૯ મહામહોત્સવને દિપાવવા માટે દ્વારકા શારદાપીઠ જગતગુરુ શ્રી સ્વરૂપાનંદસરસ્વતીજીના કૃપાપાત્ર અનુગામી શ્રી દંડીસ્વામી સદાનંદતીર્થજી મહારાજ (દ્વારકા) તેમજ અનંતવિભૂષિત મહામંડલેશ્વરશ્રી વિશ્વંભર ભારતીબાપુ (આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, જુનાગઢ તથા સરખેજ) તેમજ પરમ વંદનીય શ્રી હરિચરણાનુરાગી ભાગવતાચાર્ય પરમપૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી) પોરબંદર વિશેષ ઉપસ્થિત રહી દિવ્ય દર્શન અને સત્સંગનો લાભ આપશે. આ ઉપરાંત ભારતભરમાંથી મહામંડલેશ્વરો, સંતો - મહંતો, મહાનુભાવો પધારી તેમની દિવ્ય વાણીનો લાભ આપશે. આ મહામહોત્સવમાં ૧૨૧ કુંડી શ્રી અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન યુક્ત મંડપ દ્વારા કરવામાં આવશે. ભગવાન ભોળાનાથને આપણા પૂજ્ય બાપુ ઈષ્ટદેવ તરીકે પૂજતા એટલે ૨૧ ફુટના રૂદ્રાક્ષના શિવલીંગનું અદભુત દર્શનીય આયોજન છે. રૂદ્રાક્ષ એટલે સાક્ષાત ભગવાન શિવ સ્વરૂપ. ૨૧ લાખ રૂદ્રાક્ષના પારા દ્વારા શાસ્ત્રોક્ત પૂજાવિધિથી શિવલીંગનું નિર્માણ કરવામાં આવશે. વિશેષમાં પૂ. મહંતબાપુના સંકલ્પ મુજબ સદગુરુદેવના ૧૦૦માં વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર શિષ્યમંડળ દ્વારા ઘેર - ઘેર ૧૦૦ કરોડ સદગુરુ મહામંત્ર લેખનની શરૂઆત કરવામાં આવેલ હતી જે સમાપનના અંતે ૧૨૫ કરોડ મંત્રલેખન થયેલ છે તે પણ મંત્ર મંદિરમાં પ્રદક્ષિણા માટે રાખવામાં આવશે અને સદગૂરુદેવની રાજોપચારવિધિ દ્વારા પાદુકા મહાપૂજા યજમાનો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિદિવસીય સદગૂરૂ મહામંત્રની અખંડધૂન તેમજ અનેકવિધ ભક્તિસભર કાર્યક્રમોનું દર્શનીય આયોજન કરવામાં આવેલ છે. તો આ પરમમંગલમય અલૌકિક અવિસ્મરણીય મહામહોત્સવમાં ગુરુઋણમાંથી મુક્ત થવા માટે અને ધર્મલાભ લેવા દરેક ગામના શિષ્યમંડળો તેમજ ભાવિક ભક્તો અને ધર્મપ્રેમી જનતાને પરિવાર સહિત પધારવા શ્રી ગુરુગાદી વનથળ આ ભાવભર્યુ દિવ્ય નિમંત્રણ પાઠવે છે. આ ઉપરાંત તારીખઃ-૦૧/૧૨/૧૯ના રોજ લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તારીખઃ-૦૨/૧૨/૧૯ના રોજ ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાશે.

(7:19 pm IST)