Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરતના બહુચર્ચિત ખટોદરા કસ્ટડી ડેથ કેસમાં લાંબા સમયથી ફરાર મોહન ખીલોરી સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી સમક્ષ હાજર

સુરત :સુરતના બહુચર્ચિત એવા ખટોદરા કસ્ટડી ડેથ મામલામાં લાંબા સમયથી ફરાર પીઆઇ મોહન ખીલેરી સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી સામે આજે હાજર થયા છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓએ જે આરોપીને ઢોર માર માર્યો હતો, તેનું મોત થયું હતું. ખાનગી હોસ્પિટલમાં બે દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહેલ આરોપી યુવક ઓમ પ્રકાશે જીવલેણ માર બાદ આખરે દમ તોડ્યો હતો. આ સમગ્ર બનાવ બાદ પણ સુરત પોલીસ ફરાર 8 પોલીસ કર્મચારીઓને શોધી શકી ન હતી.

ગત મહિને મળ્યા હતા જામીન

પીઆઈ ખિલેરી ઘટના બન્યા બાદ છેલ્લાં સાત-આઠ મહિનાથી ફરાર હતા. જેના બાદ 14 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાંથી પીઆઇને આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે આખરે આજે પીઆઇ ખીલેરી સુરત પોલીસ સમક્ષ હાજર થયા છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ કેટલાક પોલીસ કોન્સ્ટેબલો ભાગતા ફરતા છે. છેલ્લા છ માસથી ચિરાગ ચૌધરી કસ્ટડીયલ ડેથ મામલામાં લાજપોર જેલમાં બંધ હતા, જેઓએ હાઇકોર્ટમાં અરજી કરતા તેઓને જામીન મળ્યા હતા.

આરોપીને માર મારતો ખૂલી પોલીસની પોલ

સુરતના ખટોદરા પોલીસ મથકના પોલીસકર્મી ત્રણ દિવસ અગાઉ ઓમપ્રકાશ પાંડે સહિત ત્રણ લોકોને ચોરીના ગુનામા શંકમદ તરીકે લાવી હતી. કસ્ટડીમા રાત્રિ દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા ઓમપ્રકાશ તથા અન્ય બંનેને ઢોર માર મારવામા આવ્યો હતો. પોલીસે એટલી હવે ઓમ પ્રકાશને માર માર્યો હતો કે ત્યાર તેની હાલત ગંભીર થઇ ગઇ હતી. તેને તાત્કાલિક ધોરણે પોલીસ મથકથી નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં પણ મીડિયા સમક્ષ તેમની પોલ ઉઘાડી પડી ન જાય તે માટે બીજા દિવસે બપોરના સમયે ઈજાગ્રસ્ત ઓમપ્રકાશને નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડાયો હતો. જોકે ત્યાં હાજર તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના જ્યારે મીડિયા સમક્ષ આવી અને અહેવાલ પ્રસિદ્ધ કરવામા આવ્યા ત્યારે ઉપરી અધિકારી દોડતા થયા હતા. આ સમગ્ર મામલો ખુદ પોલીસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. આ મામલે પોલીસ કમિશનરે પીઆઇ મોહન ખીલેરી, પીએસઆઇ સી.પી.ચૌધરી તથા અન્ય પોલીસ સ્ટાફ હરીશ, કનક, આશિષ, પરેશ, કલ્પેશ તથા જીતુભાઇ તમામ વિરુધ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. તમામને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

ગુનો નોંધાતા જ તમામ પોલીસ ભાગી ગયા

આ સમગ્ર ઘટનામાં પીઆઇ સહિત આઠ વિરુધ્ધ પોલીસ મથકમા ગુનો નોંધાયો ત્યારે તેમની અટકાયત કરવા જતા પીઆઇ ખીલેરીએ અન્ય પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી ત્યાથી ભાગી છુટયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઇ ગઇ હતી. આ ઉપરાત નવી સિવિલ હોસ્પિટલમા ઓમપ્રકાશની સારવાર માટે અલગ કારણ આપવામા આવ્યું હતું, તો જ્યારે ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવ્યો ત્યારે કોઇ પણ પ્રકારની એન્ટ્રી પોલીસ તરફી કરવામા આવી ન હતી. તેના બાદ તમામ પોલીસ કર્મીઓની શોધખોળ હાથ ધરવામા આવી હતી.

અગાઉ વિવાદમાં આવી ચૂક્યા છે પીઆઈ ખીલેરી

પીઆઈ એમબી ખિલેરી અગાઉ 2017માં અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમના વિસ્તારમાં હુસૈનમિયા નામના શખ્સના ત્યાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે દારૂ અને જૂગારની પ્રવૃતિઓ ચલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી અડ્ડાઓ બંધ કરવા સૂચના આપી હતી. છતાય ખિલેરી રહમ નજર હેઠળ ચાલતા જૂગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડતા પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી ખિલેરીને સસ્પેન્ડ કર્યા હતા.

(5:01 pm IST)