Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે ભારત સરકારે ૯૭.૪૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા : વિજયભાઇ રૂપાણી

ડુંગરાળ અને કાયમી સિંચાઇથી વંચિત ડાંગના વનબંધુ કિસાનોની સિંચાઇ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવી ભારત સરકારમાં કરેલી રજૂઆતનો ફળદાયી પ્રતિસાદ

ગાંધીનગર, તા. ર૬ : ગુજરાતના દુર્ગમ આદિજાતિ વિસ્તાર ડાંગ જિલ્લાને શ્નહર ખેતકો પાનીની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અન્વયે કેન્દ્ર સરકારે ૯૭.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે ૨૫૧૨ સિંચાઇ કૂવા ખોદકામની મંજૂરી આપી છે

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડાંગ જેવા ડુંગરાળ પ્રદેશમાં સિંચાઇની કાયમી સુવિધાના અભાવે આદિજાતિ ધરતીપુત્રોને નાના ચેકડેમ આધારિત સિંચાઇ કરવી પડતી હોવાની રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આ સમસ્યાના નિવારણ માટે ભારત સરકારમાં પ્રોજેકટ રજૂ કરવા જળસંપતિ વિભાગને સૂચનાઓ આપી હતી.

 મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે જળસંપતિ વિભાગે વિગતવાર પ્રેઝન્ટેશન અને દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલાવી હતી.

 તદ્દઅનુસાર, આ સમગ્ર પ્રોજેકટ માટે કુલ ૧૬૩.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવેલો જેમાંથી ભારત સરકાર ૬૦:૪૦ના પ્રમાણ અનુસાર રૂ. ૯૭.૪૮ કરોડની રકમ ગુજરાતને ફાળવી આપી છે.

 આ પ્રોજેકટ અનુસાર ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં કુલ ૨૫૧૨ કૂવાઓનું નિર્માણ કરાશે તે સાથે ૬૨૮ સોલાર પમ્પ અને ૧૮૮૪ ઇલેકટ્રીકલ પમ્પ આ કૂવાઓમાંથી પાણી ખેતરો સુધી પહોચાડવા ઉપયોગમાં લેવાશે.

 પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના તહેત આ પ્રોજેકટથી આહવા-ડાંગની કુલ ૩૭૬૮ હેકટર જમીનને સિંચાઇ સુવિધા મળતી થતાં ૩૬૫૫ જેટલા આદિજાતિ ખેડૂતો સિંચાઇ દ્વારા પાક ઉત્પાદન લઇને આર્થિક સમૃધ્ધિની દિશા લેશે.

 ભારત સરકારે આ યોજના અન્વયે પ્રથમ હપ્તા પેટે રૂ. ૫૮.૪૮ કરોડની રકમ ગુજરાતના જળસંપતિ વિભાગને ફાળવી આપી છે.

(2:14 pm IST)