Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

અંબાજીના મેળામાં જતા પદયાત્રીઓના માર્ગ પર ફરી અકસ્‍માતઃ ત્રિશુળિયા ઘાટ નજીક ટ્રકે પલ્‍ટી મારતા 2 લોકો ઇજાગ્રસ્‍ત

બ્રેક ફેલ થતા અકસ્‍માત સર્જાયોઃ પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇ

અમદાવાદઃ ભાદરવી પૂનમના મેળોના આજે ચોથો દિવસ છે. છેલ્લાં 3 દિવસમાં સાડા 13 લાખથી વધુ માઈભક્તોએ જગત જનની જગદંબાના દર્શન કર્યાં છે. ત્યારે પદયાત્રીઓના માર્ગે સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. ત્રિશૂળિયા ઘાટ નજીક ટ્રક પલટી ગઈ હતી. મંડપનો સામાન ભરેલી ટ્રક પલટી જતાં 2 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને દાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી જવાના રસ્તે ત્રિશુલિયા ઘાટ પર આ અકસ્માતની ઘટના બની હતી. ત્રિશુલ્યા ઘાટમાં સામાન ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી. મંડપનો સામાન ભરેલી ટ્રકની બ્રેક ફેલ થઈ હતી, જેથી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, અને તમામ સામાન નીચે પડ્યો હતો. બ્રેક ફેલ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બંનેને દાંતા હોસ્પિટલમાં ખસેડાયા છે.

ટ્રક અંબાજીથી દાંતા તરફ જઈર હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, મોટી દુર્ઘટના થતા રહી હતી, હાલ કોઇ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી અને સ્થિતિમાં કાબૂમાં લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમનો રંગેચંગે પ્રારંભ થયો છે. હાલ પદયાત્રી પોતાના રથ લઈને અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા બસના બે ટુકડા થયા હતા, જેમાં સવાર 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

હાલમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે લાખો માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ત્યારે યાત્રાળુઓની સુખ, સુવિધા અને સલામતી માટે પોલીસ તંત્ર રાત દિવસ ખડેપગે કામ કરી રહ્યું છે. ત્યારે મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે 6500 પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત 400 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મેળામાં 20 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી, 54 પોલીસ ઈન્સ્પેકટર, 150 પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિતના પોલીસ જવાનો વિવિધ સ્થળોએ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત 07 બીડીએસની ટીમ,  ખડેપગે સેવા આપી રહી છે.

(5:48 pm IST)